News of Monday, 19th February 2018
રાજકોટઃ સતાધારના પ.પૂ. મહંતશ્રી શામજીબાપુ શ્રી લક્ષ્મણબાપુના સમયથી એક પરંપરા ચાલી આવે છે કે જુનાગઢ ખાતે શિવરાત્રીનો મેળો સંપન્ન થયા બાદ દરેક અખાડાના સાધુ-સંતો-મહંતો ગાદીપતિઓ સતાધાર ખાતે એકત્ર થઇ પ્રસાદ ગ્રહણ કરી શ્રી આપાગીગાના આર્શીવાદ મેળવે છે તે પરંપરા સતાધારના મહંતશ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુએ જાળવી રાખી છે. ત્યારે આ વર્ષે પણ સતાધાર ખાતે દર વર્ષની માફક વિશાળ સંખ્યામાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા છેલ્લા બે વર્ષથી જુનાગઢ આતે અન્નક્ષેત્રનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ આયોજન તાજેતરમાં જ સફળ રીતે સંપન્ન થયું જેમા લાખો લોકોએ આ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શ્રી આપાગીગા ઓટલાના મહંત મહામંડલેશ્વર અને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોંલકી (નરેન્દ્રબાપુ) એ જણાવ્યું હતુ કે દેને કા ટુકડા ભલા, લેને કો હરીનામ સુત્રને સૌરાષ્ટ્રની ધરતી એ ખરાઅર્થમાં સાકાર કર્યુ છે. ત્યારે શ્રી આપાગીગાની જગ્યા સતાધારના પ.પૂ. મહંતશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ, લઘુમહંત શ્રી વિજયબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ તથા શ્રી આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેમા સર્વજ્ઞાતિ સમુહ લગ્ન, સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ, વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ તેમજ વયોવૃધ્ધ વડીલોને વડીલ - વંદના અંતર્ગત તીર્થસ્થાનોમાં પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમોમાં આયોજનો કરવામાં આવે છે, ત્યારે ખાસ કરી મહાશિવરાત્રી દરમ્યિાન જુનાગઢ ખાતે છેલ્લા બે વર્ષથી પ.પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુની આજ્ઞાથી અને શ્રી આપાગીગાના આર્શીવાદથી અઢારેય વર્ણના લોકો માટે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. જેમા ભાવિકો બહોળી પ્રમાણમાં મહાપ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે. તેમજ શિવરાત્રીના મેળામાં અખાડા દ્વારા નીકળતી રવેડીમાં છેલ્લા બે વર્ષથી સતાધાર જગ્યાના મહંતશ્રી તેમજ શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રીનો પણ અલગથી રથ ફાળવવામાં આવે છે.
મહાશિવરાત્રીના પર્વ દરમ્યિાન ભોજનની સાથે ભજન થાય તેવા આશયથી ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી અને ભજનનું સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગીરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં શ્રી પંચ દશનાથ જુના અખાડા દ્વારા, શ્રી આહવાન અખાડા, શ્રી અગ્નિ અખાડા તેમજ દરેક અખાડાની ઉપસ્થિતિમાં, પરમ પુજયશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી આપાગીગાના ઓટલા- ચોટીલાના મહંત નરેન્દ્રબાપુને શ્રી મહામંડલેશ્વર તરીકે ઉપાધી આપવામાં આવી હતી. આ તકે સતાધાર ખાતે જુના અખાડાના શ્રી હરીગીરીજીબાપુ તેમજ શ્રી જીવરાજબાપુ, ગુરૂશ્રી શામજીબાપુ, શ્રી વિજયબાપુ, દરેક અખાડાના મહંતો, સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુને શાલ ઓઢાળી, ફુલહારથી સ્વાગત કરી મહામંડલેશ્વર ઉપાધી આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
આ તકે પ.પૂ. શ્રી હરીગીરીબાપુ (જુનાઅખાડા) એ જણાવ્યું હતુ કે શ્રી આપાગીગા ઓટલા, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ છેલ્લા ઘણાં વર્ષોથી ‘ દેને કા ટુકડા ભલા, લેને કો હરીનામ' ને ચરિતાર્થ કરતા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહયું છે. સાથોસાથ અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી છે ત્યારે મહામંડલેશ્વરની ઉપાધી પ્રાપ્ત કરી નરેન્દ્રબાપુએ કર્મયોગ અને ભકિતયોગના અદભુત સમન્વયને સાકાર કર્યો છે. આ તકે મહામંડેલેશ્વર નરેન્દ્રબાપુએ જણાવ્યું હતુ કે વર્ષોથી જાહેર જીવનના માધ્યમથી પ્રાથમીક પ્રશ્નોથી લઇ અને અનેક લોકપ્રશ્નોને વાચા આપવા સતત તત્પર રહયો છું ત્યારે સમાજજીવનમાં એક ભગીરથ કાર્ય કરવાના આશયથી શ્રી આપાગીગાના ઓટલાના મહંત તરીકે ખેસ ધારણ કરી સતત લોકસેવાને માધ્યમ ગણ્યું છે ત્યારે જયારે સાધુ સંતો, અખાડાના મહંતો દ્વારા મને મહામંડલેશ્વર ઉપાધી આપવામાં આવી છે. ત્યારે લોકસેવાની સાથે સંતસેવા કરવાનો એક અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે અને તેના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને દરેક અખાડા તેમજ સાધુ-સંતો અને મહંતોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા અગ્રેસર રહીશ.