Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સાસરિયાએ ત્રાસ આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં સ્ત્રી શોષણનો વધુ એક બનાવ : રાજકોટના ઓમ નગરમાં રહેતી મહિલાએ પોતાના જેઠ-જેઠાણીએ પતિ તેમજ પોતાના નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ,તા.૨૦ : રાજકોટ શહેરમાં વધુ એક સ્ત્રી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. રાજકોટ શહેરના ઓમ નગરમાં રહેતી મહિલાએ પોતાના જેઠ-જેઠાણી પોતાના પતિ તેમજ પોતાના નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં ભાવનાબેનને ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેમના લગ્ન શિવલાલ અગ્રાવત સાથે થયા છે. લગ્ન થયાના બે વર્ષ બાદ સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મારા જેઠ જેઠાણી મારા પતિને કહેતા હતા કે તારી પત્ની ને તો કામવાળી તરીકે જ ઘરમાં રાખજે. તેમજ કોઈપણ જગ્યાએ સારો કે ખરાબ પ્રસંગ હોય તો તેને લઈને ત્યાં ન આવતો. જો તું તારી પત્ની ને ત્યાં લઈને આવીશ તો હું નહિ આવું એવું તું તારી પત્નીને કહેજે. જે અંતર્ગત મારા પતિ મને સારા કે માઠા પ્રસંગે મને બહાર ન લઈ જતા.

       તો સાથે જ મારા નણંદ પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવતા હતા. મારા નણંદ મારા પતિ ને કહેતા હતા કે, શિવા તું ઘરે આવી જા એ ભલે એકલી રહે. જેના કારણે મારા પતિ મારી સાથે અવારનવાર ઝઘડો કરતા હતા. મને ગાળો આપી મારી સાથે મારકૂટ પણ કરતા તેમજ કરિયાવરની માગણી કરી ત્રાસ પણ આપતા હતા. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસે મહિલાની ફરિયાદ ઉપરથી તેના પતિ શિવલાલ અગ્રાવત, જેઠ મનુભાઈ અગ્રાવત, જેઠાણી ગીતાબેન અગ્રાવત તેમજ નણંદ જયા નિમાવત સામે ફરિયાદ નોંધી છે. ત્યારે પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ તેમજ દહેજ ધારાની કલમ ૩ અને ૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:10 pm IST)