Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ઉનાળામાં કેરીનું ઉત્પાદન વધુ થાય તેવી ખેડૂતોને આશા

લોકડાઉનમાં કેરીની નિકાસ થઈ ન હતી : ગીરની કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત છે ત્યારે હાલ કેસર કેરી માટે વાતાવરણ અનુકૂળ જોવા મળી રહ્યું છે

જુનાગઢ,તા.૧૯ : સ્વાદના શોખીનો માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યાં છે. ગીરની જગ પ્રસિદ્ધ કેસર કેરી માટે હાલનું વાતાવરણ ખુબ સાનુકૂળ જોવા મળી રહ્યું છે. ત્યારે આંબા પર મોર પણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળ્યાં છે. ત્યારે આગામી ઉનાળુ સીઝનમાં કેરીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે તેવું જુનાગઢના ખેડૂતોનું માનવું છે.  ગીરની કેસર કેરી આજે દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યારે હાલ કેસર કેરી માટે વાતાવરણ અનુકૂળ જોવા મળી રહ્યું છે અને આંબા પર મોરનું આવરણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતના મતે કેરીનું ઉત્પાદન વધશે અને ખડૂતોને ભાવ સારા પ્રમાણમાં મળશે. આ વર્ષે ઠંડી અને બપોરે ગરમ વાતાવરણના લીધે આંબા પર મોર પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. જેના લીધે કેરીની આવકમાં વધારો થશે. ત્યારે ગત વર્ષે કોરોનામાં લોકડાઉનમાં કેરીની નિકાસ થઈ ન હતી. તેમજ એક્સપોર્ટમાં પણ મુશ્કેલી થઈ હતી.

બીજી તરફ કેરીનું ટ્રાન્સપોર્ટેશન પણ ઓછું થયું હતું. ત્યારે હવે આ વર્ષે ખેડૂતોને નિકાસની આશા જાગી છે. જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળશે અને કેરીનું ઉત્પાદન પણ વધુ થશે તેવું જુનાગઢના ખેડૂત અતુલ શેખડાએ જણાવ્યું.  ગીરની કેસર કેરીની સીઝન કેવી રહેશે તે મુદ્દે કૃષિ બાગાયત વિભાગના મદદનીશ બાગાયત અધિકારી એએમ કરમુરનું કહેવું છે કે, આંબાના બગીચા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગત વર્ષે ખૂબ ભારે વરસાદના કારણે આંબામાં ફ્લાવરીંગ ખૂબ મોડું થયું છે. હાલ ૬૦ ટકા જેટલું ફ્લા્વરીંગ જોવા મળે છે.

ત્યારે જૂનાગઢ જિલ્લામાં ૮૫૦૦ હેક્ટરમાં આંબાવાડીયું જોવા મળે છે. જેમાં ગત વર્ષે ૫૦ હજાર મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. પરંતું કોરોના લીધે ગત વર્ષે કેરીનું એક્સપોર્ટ ઓછું થયું હતું. પ્રતિ વર્ષ ૫૦૦ મેટ્રીક ટન ફળોનો નિકાસ થાય છે. જ્યારે ગત વર્ષે કોરોનાના લીધે ૨૫% જેટલો નિકાસ થયો હતો.  હાલ કેસર કેરી માટે વાતાવરણ સારું છે, પણ ફ્લાવરીંગ થોડું મોડું છે, જેના લીધે સારી કેરી મે મહીનામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા કેરીને એક્સપોર્ટ કરવા એપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં ખેડૂતોએ પોતાનો બગીચો રજિસ્ટર કરવાનો હોય છે. જ્યારે એક્સપોર્ટ માટે જે બગીચા રજિસ્ટર થયા હોઈ તેના જ બગીચાની કેરી એક્સપોર્ટ કરતા લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે હાલ બાગાયત વિભાગ દ્વારા ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે.

(9:30 pm IST)