Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સોમનાથ રેલ્વે સ્ટેશન

સોદર્ય - સ્થાપત્ય - સ્વચ્છતા - પ્રવાસીઓ - યાત્રિકો માટે આકર્ષક સેલ્ફી પોઇન્ટો

(મીનાક્ષી ભાસ્કર વૈદ્વ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૮ : ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર ભારત વિશ્વના કરોડો યાત્રિકો પ્રવાસીઓ માટે જ ખાસ બનેલુ વેસ્ટર્ન રેલ્વેનું સોમનાથ ખાતે આવેલ સોમનાથ રેલ્વે સ્ટેશન ભારતના અન્ય રેલ્વે સ્ટેશનોમાંથી કંઇક નવતર આર્કષક અને અદભૂત છે.

આ રેલ્વે સ્ટેશન ભારતના ચાર જયોર્તિલીંગો સાથે સંકળાયેલ રેલ્વે રૂટ છે. જેમાં સોમનાથ મંદિર તો અહી જ છે જયારે સોમનાથથી જબલપુર ટ્રેન રૂટમાં ઉજજૈન મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર ઉજજૈન અને સોમનાથ ઓખા દ્વારકા ટ્રેન સાથે નાગેશ્વર દ્વારકા - જયોર્તિલીંગ.

આ રેલ્વે સ્ટેશનમાં આવતી જતી ટ્રેનો જે રેલ્વે ટ્રેક ઉપર આવે છે તે જ ટ્રેક ઉપર પરત ફરે છે. એટલે કે આ રેલ્વે સ્ટેશન છેલ્લામાં છેલ્લુ છે. ટ્રેન રેલ્વે સ્ટેશન દરવાજા પાસે પાટા ઉપર સ્ટોપના બોર્ડ લગાવાયેલ છે. એટલે કે અહીથી કોઇ ટ્રેન આગળ જતી નથી. આવેલુ એન્જીન સન્ટીંગ કરીને રીવર્સ થઇ એન્જીનનું મોઢુ પાછુ જે ટ્રેક ઉપર આવેલ હોય તે જ ટ્રેક ઉપર ફરી પરત ફરે છે.

આ રેલ્વે સ્ટેશન પરિસરમાં રાજય યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સર્કલમાં સુંદર ફુલ બગીચો બનાવાયો છે અને પરીસરમાં વિશાળ સ્થંભ ઉપર રાષ્ટ્રીય ધ્વજ લગાવાયેલ છે. જે ભારતના ૨૫ જેટલા રેલ્વે સ્ટેશનો ઉપર લગાવાયેલ છે. જેને નેશનલ મોન્યુમેનટ ગણીને આ રાષ્ટ્રધ્વજ ચોવીસે કલાક ફરકતો રહે તેવી જોગવાઇમાં રાખવામાં આવેલ છે.

રેલ્વે સ્ટેશનને સ્વચ્છતા માટે એવોર્ડ પણ મળેલ છે જે જળવાઇ રહી છે અને સ્ટેશનનું બાંધકામ હેરીટેજ સાઇટની જેમ મંદિર દરજજાને અનુરૂપ સ્થાપત્ય બાંધકામ કરાયેલ છે.

સૌથી અગત્યનું આર્કષણ રેલ્વે સ્ટેશનની બુકીંગ ઓફીસ પાસે દસ થી બાર ફુટ સ્ટીલનું ખાસ સ્ટ્રકચર ઉભુ કરાયેલ છે. જે સ્ટ્રકચરમાં ૧૦ સેન્ટીમીટર જેટલા ફાયબરના કુંડાઓમાં સુંદર વેલ વનરાજીઓ રોપવામાં આવી છે. જેને ખાસ પાઇપ લાઇનથી આવા ૬૦૦ જેટલા હરીયાળા લીલાછમ કુંડાઓમા ઉગેલ વેલ વેલીઓના શુશોભન સાથે સોમનાથ યાત્રાએ આવેલ યાત્રિકો સેલ્ફી ફોટો પડાવી સ્મરણ સાથે લઇ જાય છે. હવે આ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ સ્ટેશને અન્ય સ્ટેશનો કરતા બેસવા માટેના બેંચમાં નવીનતા છે.

આ બેંચને વૃક્ષના થડનો શેપ આપવામાં આવ્યો છે અને આધાર લેવા માટે પણ વૃક્ષના થડનો માટીવર્ણો દેખાવ રખાયેલ છે. જેમાં બેસી પેસેન્જરો સેલ્ફી પડાવી મંત્રમુગ્ધ બને છે.

રેલ્વે સ્ટેશન ઉપર રીટેઇનીંગ રૂમ છે. જેમાં ડબલ બેડ સુવિધા છે. જેના ૧૨ કલાકના ૪૦૦ રૂપિયા અને ૨૪ કલાકના ૬૦૦ રૂપિયા છે. જેનું ઓનલાઇન બુકીંગ થાય છે.

ગાડી ઉપડતા પહેલાના બે કલાક અગાઉ વેઇટીંગ રૂમ વ્યવસ્થા પણ છે. રેલ્વે રીઝર્વેશન સુવિધા પણ ઉપલબ્ધ છે. જે સોમ થી શનિ સવારે ૧૦ થી ૧૨ અને ૧૬ થી ૨૦ જયારે રવિવારે સવારે ૧૦ થી ૧૨ ટાઇમ છે.

રેલ્વે સ્ટેશન પર ટિકીટ બુકીંગ વિભાગ દિનેશ રાઠોડ સહિત કર્મચારીઓ કાર્યરત છે કે જેઓ રેલ્વે સ્ટેશન ઉપર કોઇથી ભુલાઇ ગયેલ વસ્તુઓ, બિનવારસી વસ્તુઓ, મોબાઇલ મળે કે તુરંત જ માઇક દ્વારા એનાઉસમેન્ટ કરાવી તેના મુળ માલિકને વેરીફીકેશન કરી પરત આપી રેલ્વેની પ્રમાણિકતાનું દ્રષ્ટાંતરૂપ સૌ સ્ટાફ કાર્ય કરે છે.

(10:15 am IST)