Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સુરેન્દ્રનગર -બારડોલીમાં આયુર્વેદ હોસ્પિટલ બનાવાશે : ડો.મહેન્દ્રભાઇ મુંજપરા

વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં લીંબડીમાં જન આર્શિવાદ યાત્રામાં જાહેર સભા યોજાઇ : નવનિયુકત કેન્દ્રીય મંત્રીનું સ્વાગત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા.૧૭: ગુજરાતમાં આરંભાયેલી જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીંબડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભૂતકાળના ૭૦ વર્ષોમાં કેન્દ્ર સરકારો જે નથી કરી શકી એનાથી અનેક ગણા વિકાસના કાર્યો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭ વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં થયા છે. ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી નહોતી, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેક નવા - નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ગુજરાતના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય રાજય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મહિલાઓ પુરૂષની સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરી આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર સહિતની અનેકવિધ યોજનાઓનું સદ્યન અમલીકરણ કરાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, સુકન્યા સમૃદ્ઘિ યોજના અને સમગ્ર શિક્ષા અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી આજે મહિલાઓને આત્મસન્માન મળી રહ્યું છે. મહિલા આઇ.ટી.આઇ. અને વોકેશનલ ટ્રેનિંગ કોર્ષ દ્વારા મહિલાઓ પુરૂષ સમોવડી બની પોતાના પરિવાર અને દેશની સમૃદ્ઘિમાં આજે સહભાગી બની છે.

કેન્દ્રીય રાજય મંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે, કોઈપણ બાળક કુ-પોષણનો ભોગ ન બને અને દરેકને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સમગ્ર દેશભરમાં પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આયુર્વેદને દેશના દરેક ગામડાના દ્યર-ઘર સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, ગુજરાતમાં ૨ આયુર્વેદ હોસ્પિટલની મંજુરી આપવામાં આવી છે, જેના ભાગરૂપે આગામી સમયમાં સુરેન્દ્રનગર અને બારડોલી એમ બે સ્થળોએ આયુર્વેદ હોસ્પિટલ નિર્માણ પામશે.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ન થયા હોય એટલા કાર્યો આજે થયા છે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અનેક નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપીને ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે એટલું જ નહી પરંતુ દેશના સર્વાંગી વિકાસ થકી ભારતવર્ષને વિશ્વના ફલક પર અગ્રેસર રાખ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, પરસોત્ત્।મભાઈ સાબરીયા, લીંબડી નિમ્બાર્ક પીઠના મહંતશ્રી લાલદાસ બાપુ, ચરણદાસ બાપુ, પ્રફુલદાસ મહારાજ, જનકસિંહજી મહારાજ, ગેડીયા ધામના લાલદાસ બાપુ, મુખી મહારાજ તથા અગ્રણીઓ સર્વશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શંભુપ્રસાદ ટુંડિયા, શંકરભાઈ દલવાડી, વર્ષાબેન દોશી, જયંતીભાઈ કવાડિયા, શંકરભાઈ વેગડ, પૂનમભાઈ પરમાર, શામજીભાઇ ચૌહાણ, ધનરાજભાઇ કૈલા, મનહરભાઈ મકવાણા, બાબાભાઈ ભરવાડ, પ્રકાશભાઇ સોની અને મુકેશભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)