Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જુનાગઢમાં પૂ. મુકતાનંદબાપુના પ્રાગટય દિન નિમિતે મુસ્‍લિમ બિરાદરો દ્વારા પણ રકતદાન

સાંજે પૂ. મુકતાનંદબાપુની રકતતુલા કરાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા પ્રમુખ કમલેશભાઇ ભરાડ અને સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવ જોષી  કાર્તિક ઠાકર અને પ્રમુખ વિશાલ જોશી અને સમગ્ર ટીમ દ્વારા પૂ. બાપુના જન્‍મ દિવસને સેવાદિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે સવારથી શરૂ થયેલ રકતદાન કેમ્‍પમાં કોમી એકતાનો દાખલો પુરો પાડતા હોય તેમ મુસ્‍લીમ બિરાદરો પણ રકતદાન માટે ઉમટી પડયા હતા અને રકતદાન કર્યુ હતું.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયએ પણ શિક્ષણ પરિવારને આ રકતદાન કેમ્‍પમાં રકતદાન કરવા અપીલ કરી હતી.

પૂ. મુકતાનંદબાપુના ૬૪માં પ્રાગટય દિન નિમિતે આજે સાંજે ૪ કલાકે પ્રેમાનંદ વિદ્યામંદિર બિલનાથ મહાદેવ મંદિર પાસે પૂ.બાપુની રકતતુલાનો કાર્યક્રમ યોજાશે. જેમાં શિવગોરક્ષ આશ્રમના મહંત પૂ.શેરનાથબાપુ તથા સતાધાર આપાગીગાની જગયાના મહંત પૂ. વિજયબાપુ સહિતના સંતો-મહંતો ઉપસ્‍થિત રહી શુભકામના પાઠવશે.

આ રકતતુલાના કાર્યક્રમને લઇને રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમ છેલ્‍લા એકાદ માસથી ભારે જહેમત ઉઠાવી પૂ. મુકતાનંદબાપુ પ્રત્‍યે અનન્‍ય ભાવ વ્‍યકત કર્યો છે.

(1:06 pm IST)