Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીનો નહેરુ ગેઇટ લાઈટીંગ શોથી જગમગી ઉઠ્યો : લોકો નજારો નિહાળી અવાચક બન્યા.

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના તાલે મંત્રી ઝૂમી ઉઠ્યા

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ ક્ષેત્રે બેમિસાલ કામગીરી બદલ મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં કરોડોની ગ્રાન્ટ થકી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ૧૮ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ શો થકી દિપી ઉઠ્યો છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર મોરબીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગર્વની લાગણી પણ વ્યક્ત હતી.
વધુમાં તેમણે તેમની ધારાસભ્યની ગ્રાન્ટ માંથી મોરબીના વિકાસ કામો માટે પ્રત્યેક વોર્ડને રૂપિયા પાંચ લાખ એમ કુલ રૂપિયા પાંસઠ લાખની ફાળવણી કરી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નહેરુ ગેટ લાઈટિંગ શો, નહેરુ ગેટ થી દરબાર ગઢ ચોક સુધી પેવર બ્લોક, ૧૬ નવી આંગણવાડી, લીલાપર રોડ પાણીની લાઈન, ૨ સ્મશાન ભઠ્ઠી, સાંસ્કૃતિક હોલ, ૬૦૦૦ એલ. ઈ. ડી.લાઈટ, ઈ પ્રગતિ સોફ્ટવેર વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના તાલે મંત્રી ઝૂમી ઉઠ્યા હતાં.

(7:04 pm IST)