Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સાવરકુંડલા : રાજય સરકારે સરકારી હોસ્પિટલોને સુસજ્જ કરી હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ આક્રોશ ઠાલવ્યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પ :  અમદાવાદ : દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ રાજય સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું છે કે રાજયના મુખ્યમંત્રીએ પણ રાજયમાં કોરોના સંક્રમણ બેકાબુ થતા સરકારી તંત્ર સાવ ભાંગી પડયું છે. તેવા સમયે મુખ્ય ચુંટણી પંચને ગાંધીનગરની ચૂંટણીઓ મોકૂફ રાખવા માટે પત્ર લખવાની ફરજ પડી હતી. રાજયમાં કોરોના કાબુમાંં અવાતા સમયનો સદ્ઉપયોગ કરીને અગમચેતીના ભાગરૂપે જો રાજયમાં સરકારી હોસ્પિટલો સુસજ્જ કરવા માટે પુરતા સ્ટાફની ભરતી કરી હોત, આઇસીયુ વોર્ડ તથા વેન્ટીલેટરની વ્યવસ્થા કરી, રેમડેસિવીર ઇન્જેકશન, ઓકસીજન, દવાઓ સાથે સરકારી હોસ્પિટલોને સુસજ્જ કરી હોય તો આજની કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત. રાજય સરકારના ચૂંટણીઓ જીતવાના અભરખા-બેદરકારી દ્વારા ભાજપના નેતાઓ અને સરકાર પોતે જ કોરોના સુપર સ્પ્રેડર સાબિત થયા છે.

ગ્યાસુદીન શેખએ વધુમાં જણાવ્યું છે કે ઓકટોબર માસમાં નામદાર હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ૬ માસ મોકૂફ રાખવાની માંગણી કરી હતી કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૩ લાખ ૧ર હજાર કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવવાના હતા. હજારો ઉમેદવારો ચૂંટણીઓ લડવાના હતા અને કરોડો મતદારો મતદાન કરવાના હતા ત્યારે ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયાથી શરુ કરી વિજય સરઘસો નીકળે ત્યાં સુધી લાખો લોકો રસ્તા પર નીકળે ત્યારે ચૂંટણી મેળાવડાઓ ચુંટણી સભાઓ, રેલીઓ, જમણવાર, વિજય સરઘસ નીકળવાના કારણે કોરોના વકરશે તેવી દહેશત મેં મારી પીઆઇ એલમાં વ્યકત કરી હતી.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવેલ જેના કારણે અમદાવાદમાં એકઠા થયેલા લાખોને કારણે આપણે પરિણામો ભોગવી ચુકયા છીએ. છતાં અમદાવાદમાં નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં રમાયેલ ક્રિકેટ મેચના દરમ્યાન સ્ટેડીયમમાં ૬પ-૭૦ હજાર લોકો ભેગા થયા જેમાં રાજયના જવાબદાર મંત્રીઓએ હાજર રહી ક્રિકેટ રસીયાઓને પ્રોત્સાહન પુરૂ પાડતા હોય તેમ નજરે દેખાયા. ક્રિકેટ મેચો દરમ્યાન સ્ટેડીયમમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન યોગ્ય રીતે ન થવાને કારણે અમદાવાદ શહેરમાં કોરોના વધુ વકર્યો છે. મારા નામદાર હાઇકોર્ટ ચીફ જસ્ટીસને પત્ર લખ્યા પછી તાત્કાલિક ગુજરાત ક્રિકેટ એસો. દ્વારા દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ અંતમાં ગ્યાસુદીન શેખએ જણાવ્યુ઼ હતું.

(12:59 pm IST)