Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

નૂતન સમાજવાડીના નિર્માણમાં સહકારીતા અને સંગઠીતતાના સમન્વય થકી જવલંત સફળતાઃ જયેશભાઇ રાદડિયા

વિસાવદરના ભલગામમાં નવનિર્મિત લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ

જૂનાગઢ તા.૧૪ : સમાજવાડી મનુષ્યના જીવનમાં સારા વિચારોનું ઉદ્ભવસ્થાન છે અને તેના થકી જ સારા સમાજનું ઘડતર તેમજ સારા સંસ્કારોનું સિંચન થતું હોવાની લાગણી વિસાવદર તાલુકાનાં ભલગામ ખાતે નવનિર્મીત લેઉવા પટેલ સમાજ ભવનનાં લોકાર્પણ પ્રસંગે રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ વ્યકત કરી હતી. નુતન સમાજવાડીના નિર્માણમાં સહકારીતા અને સંગઠીતતાના સમન્યવય થકી અને ટીમવર્કથી કરાતા કાર્યોને હંમેશાં જવલંત સફળતા મળે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભલગામની બી.આર.કોટડીયા પટેલવાડીના નિર્માણને દર્શાવ્યું હતું. આવા કાર્યોમાંથી પ્રેરણા લઇ સમાજના યુવાનો વધુને વધુ શિક્ષિત થઇ સમાજ ઉપયોગી કાર્યોમાં મદદરૂપ થવા શ્રી જયેશભાઇ રાદડીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.

સમારોહમાં ઉપસ્થિત સમાજભવનનાં દાતા અને અમેરીકામાં ત્રણદાયકાથી સ્થાઇ થયેલા અરવીંદભાઇ બાંભરોલીયાએ જણાવ્યું કે, સમગ્ર વિસાવદર પરગણામાં શ્રેષ્ઠ ગણી શકાય તેવી લેઉવા સમાજની અદ્યતન સમાજવાડીના નિર્માણથી સમાજને તેમજ ગ્રામજનોને વધુ સારી સુવિધા મળશે. આ કાર્ય માટે તેમની સાથે દેશનાં વિવિધ પ્રાંતમાં રોજગારી અને ધંધા વ્યવસાયથી સ્થાયે થયેલા ગામનાં વતની અને સાથી દિલેર દાતાઓને બિરદાવી સમાજના કાર્યોમાં સહયોગી થવાની ખાતરી આપી હતી. જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવજીભાઇ પાનસુરીયાએ જ્ઞાનની આ સદીમાં સમાજમાં શિક્ષણ, સંગઠનનો વ્યાપ વધારવા અને મહિલાઓને સામાજિક પ્રવૃત્તિઓમાં વધુ સ્થાન આપવાની હિમાયત કરી હતી. આ અવસરે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લા અધ્યક્ષ શ્રી કીરીટભાઇ જણાવ્યું કે, જે સમાજ સમયની સાથે કદમ મિલાવે છે તે હંમેશાં સફળ થતો હોય છે. વિસાવદર તાલુકાનાં ભલાગામ ખાતે વતનને યાદ કરી સામજ માટે કઇંક કરવાની ભાવના દર્શાવનાર સૈા ગામ અને વતનપ્રેમીઓને કીરીટભાઇએ ધન્યવાદ પાઠવ્યા હતા. અગ્રણીશ્રી ધીરૂભાઇ વલ્લભભાઇ કોટડીયાએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુવા કાર્યકરોએ મહત્ત્વની ભૂમિકા ભજવવા પર ભાર મૂકયો હતો. શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ જૂનાગઢનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે.ઠેશીયાએ જણાવ્યુ હતુ કે જ્ઞાતિની સમાજવાડીથી જ સારા મજબૂત સમાજનું નિર્માણ થાય છે, જેના થકી જ સમાજના ઉત્કર્ષ કાર્યો સફળ થતાં હોય છે.

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડની બાળાઓએ અતિથીઓને આવકાર ગીતથી મહેમાનોને આવકાર્યા હતા. ગ્રામજનોને બેન્ડની સુરાવલી સાથે મંત્રીશ્રી તથા દાતાઓ અને મહેમાનોને ગામનાં પાદરથી સ્વાગત રેલી યોજી હતી. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે વિસાવદર પરગણાનાં સંતો સર્વશ્રી રામજીબાપુ, શ્રી પ્રેમદાસજી મહારાજ, સિતારામબાપુ, ભાવેશ ભગત, શ્રી ધિરૂભગત, અગ્રણીશ્રી હરસુખભાઇ વઘાસિયા, ચંદ્રીકાબેન વાડોદરીયા, શ્રી પ્રિતીબેન વઘાસિયા, રતીલાલ વઘાસિયા, રમણીકભાઇ ગોધાણી સહિત તાલુકાનાં વિવિધ ગામોનાં સરપંચો, સમાજશ્રેષ્ઠીઓ, જ્ઞાતિ અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહી સમાજના યુવા કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી. આ સમાજવાડીના નિર્માણના મુખ્ય દાતા અરવીંદભાઇ બાંભરોલીયા, ધીરૂભાઇ કોટડીયા, મનિષભાઇ વેકરીયા સહિત દાતાઓના પરિવારજનોનું સન્માન કરાયું હતું. સમાજવાડી ભવન માટે જમીન સમાજને અર્પણ કરવા બદલ જ્ઞાતિજનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સૈા જ્ઞાતી જનો અને ગ્રામજનોએ સમુહ ભોજનપ્રસાદ લીધો હતો. સમાજવાડી નિર્માણકાર્યમાં કાર્ય કરનાર બાંધકામ સમિતિના સદસ્યોનું પણ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરી માત્ર એક વર્ષમાં જ કાર્ય પૂરું કરવાની કામગીરી બિરદાવી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:42 am IST)