Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જામનગર જિલ્લાના આઇ.ટીઆઇ. કેમ્પસ, જામજોધપુર ખાતે પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી કરાઇ

-કોરોનાકાળમાં વૃક્ષોની મહત્તા સૌને સમજાઇ છે, વધુ વૃક્ષો વાવી ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા: મહાનુભાવોએ વિવિધ રોપાઓનું વાવેતર કરી, વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું

 જામનગર:જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે આઇ.ટી.આઇ. કેમ્પસના પટાંગણમાં ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.
   આ પ્રસંગે મંત્રી જવાહરભાઇ ચાવડાએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષની અગત્યતા કોરોના કાળમાં લોકોને વધુ સમજાઇ છે. વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ (અંગારવાયું) રૂપી ઝેર શોષીને અમૃત રૂપી પ્રાણવાયું આપવાનું ઉત્તમ કાર્ય વૃક્ષો કરે છે. વનો પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે. કોઇ પણ જીવના જન્મ સાથે જ વૃક્ષો અને વન તેની જરૂરિયાત બની જતી હોય છે. ગુજરાતના પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શી વનમહોત્સવના પ્રણેતા હતા. એક વ્યક્તિ જીવનકાળ દરમ્યાન વૃક્ષો રોપી એક સામાજીક વન બનાવી શકે છે ત્યારે સામાજિક વનીકરણના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને  હરિયાળું જામનગર બનાવવા લોકો આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.  
  કાર્યક્રમમાં જામજોધપુરના અગ્રણી કૌશિકભાઇ રાબડીયાએ ભારતમાં પર્યાવરણીય સમતુલા વધે અને કાર્બન ક્રેડિટમાં પણ વધરો થાય તે હેતુથી લોકોને સામાજીક વનીકરણમાં જોડાવા આહવાન કર્યું હતું.  
  વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ ક્લાઇમેટ ચેન્જ થકી વન્ય જીવો અને માનવ સંપદાને થતા નુકસાન વિશે જણાવી વૃક્ષો વાવી વનોના નિર્માણ થકી પર્યાવરણનું રક્ષણ કરવાની અભ્યર્થના વ્યકત કરી હતી.
  આ પ્રસંગે સામાજીક વનીકરણ અંતર્ગત સફળ કૃષિ વનીકરણ માટે મેમાણાના હનુભા રાસુભા જાડેજા તેમજ જામનગરના મનુભાઇ હમીરભાઇ ભુવાને પ્રશસ્તિપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સૌ મહાનુભાવોનું તુલસીના રોપા આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત નાગરિકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા રાજ્યકક્ષાના વનમહોત્સવ કાર્યક્રમનાં જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.
  આ તકે એ.પી.એમ.સી. જામજોધપુરના અધ્યક્ષ બ્રિજરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ, જામજોધપુર નગરપાલિકાના પ્રમુખ મમતાબેન, જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની ગીતાબેન ચાવડા, ડી.ટી. વસાવડાના ધર્મપત્ની, જામજોધપુર યાર્ડના ડાયરેક્ટર  સી.એમ.વાછાણી, કલેકટર સૌરભ પારઘી, પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય અક્ષય બુડાનિયા, પ્રાંત અધિકારી, જામજોધપુર ઇશિતાબેન મેર, ડી.વાય.એસ.પી ગ્રામ્ય દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી જામજોધપુર, મામલતદાર જામજોધપુર, આચાર્ય આઇ.ટી.આઇ. જામજોધપુર, ચીફ ઓફિસર જામજોધપુર તેમજ વિદ્યાર્થીઓ- નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
 

(10:59 pm IST)