Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જૂનાગઢ રોપ-વે સફર દ્વારા ગરવા ગિરનાર પર પ્રકૃતિ દર્શન કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગરવા ગિરનાર પર સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રકૃતિ દર્શનનો લ્હાવો માણ્યો : વિજયભાઈ રૂપાણી નું જૂનાગઢમાં આગમન

(વિનુ જોશી દ્વારા )જુનાગઢ તા.૧૪, : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતનાં સૌંદર્યને મનભરીને માણ્યું હતું.  સાથે સાથે રાજ્યપાલશ્રીએ રોપ વે સફર દ્વારા  વર્ષાઋતુને કારણે ગરવા ગિરનાર પર સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રકૃતિ દર્શનનો લ્હાવો પણ માણ્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી સાથે રોપ-વે મારફત અંબાજી મંદિરે પહોચ્યાં હતા તેમજ ગરવા ગિરનારની ગરિમાને ઉજાગર કરતા અંબાજી મંદિર સહિત આસપાસના અન્ય ઐતિહાસિક સ્થળોને નિહાળ્યા હતા.

રાજ્યપાલશ્રીએ ગિરનાર પરના વિવિધ ઐતિહાસિક સ્થળો, ગિરનાર સાથે જોડાયેલ ઐતિહાસિક તથ્યો, ગિરિ પર્વત પરની વન સંપદા, અહીંની પ્રવાસન સુવિધા સહિતની બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

રાજ્યપાલશ્રીએ પોતાની મુલાકાત દરમિયાન યાત્રાધામ ખાતે ઊપસ્થિત યાત્રાળુઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.રાજ્યપાલશ્રીને રોપ-વે ખાતે ઉષા બ્રેકોના રિજીયન હેડ દિપક કપલીશ તથા રેસિડેન્ટ મેનેજર જી.એમ.પટેલે આવકાર્યા હતા. જૂનાગઢ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નું પણ આજે સાંજે જૂનાગઢ ખાતે આગમન થયું હતું તેઓનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

(6:26 pm IST)