Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મોરબીમાં તા. 21મીએ સંસાર રામાયણ કથા અંતર્ગત 151 પોથી સાથે જાજરમાન પોથીયાત્રા નીકળશે.

મોરબીમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે 31મી સુધી સંસાર રામાયણ કથાનું આયોજન

મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે તા.21 થી 31 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અંધ,અશક્ત,નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે.જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માસિક એક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ,કપડાં, દવા વગેરે અર્પણ કરવામાં આવે છે.એ રીતે જીવન નિર્વાહ કરવામાં આવે છે.પણ સ્વ.ઓ.આર.પટેલનું સ્વપ્ન હતું કે મોરબીમાં નિરાધાર જરૂરિયાત મંદો માટે એવું કંઈક નિર્માણ કરી જ્યાં આસરો મળી રહે એવું સ્થાપત્ય નિર્માણ કરવાનું બીડું પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખ વગેરે ટ્રષ્ટીઓએ ઝડપ્યું હતું.
લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર પાંચ લાખથી ઉપર દાન આપનાર 125 જેટલા દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર 350 જેટલા દાતાઓના સન્માર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.21મીના રોજ સાંજે 6.30 વાગ્યે રવાપર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્યપોથી સહિત 151 પોથી સાથે જાજરમાન પોથીયાત્રા નીકળશે.
દરરોજ રાત્રે 8.30 વાગ્યે કથાના પ્રારંભે 10 થી 12 જેટલા દાતાઓનું વિશિષ્ટ બહુમાન કરાશે. કથા વિરામના સમયે દરરોજ વક્તા સતશ્રી દ્વારા 51 હજારથી પાંચ લાખ સુધીના દાતાઓનું સન્માન કરવામાં આવશે.અગિયાર દિવસ સુધી રાત્રે 8.30 થી 11.30 સુધી ચાલનાર સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ધામધૂમ પૂર્વક યોજવામાં આવશે.સમસ્ત મોરબી પંથકના લોકોને કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(10:55 pm IST)