Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

જુનાગઢ ગિરનાર પર્વત સ્થિત કમંડલ કુંડના મહંત સ્વામી મુક્તાનંદગિરિને પૂ. મોરારીબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ : શનિવારથી શ્રી રામ કથા ગુંજશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::: ગિરનાર પરનાં ગુરુ શિખર સ્થિત કમંડલ કુંડ સ્થાનના મહંત, સ્વામી મુક્તાનંદગિરિ ગુરુ મહેશગિરિ તારીખ ૧૨ ઓક્ટોબરના રોજ બ્રહ્મલીન થયા છે. 

ગુરુ દત્તાત્રેય શિખર અને કમંડલ કુંડ એ બંને સ્થાન જૂનાગઢના ભેંસાણ તાલુકાના રાણેશ્વર મહાદેવ મઠના તાબામાં છે.

ગઈકાલે બ્રહ્મલીન મહંતશ્રીને રાણપુર ખાતે મંદિર પરિસરમાં સમાધિ આપવામાં આવી. એ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ વતી રાજકોટના ઉદ્યોગપતિ અને કમંડલ કુંડ ખાતે શનિવારથી આરંભાતી રામ કથાના યજમાન શ્રી જયંતીભાઇ ચાંદ્રા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બાપુ વતી બ્રહ્મલીન સ્વામી મુક્તાનંદગિરીજી મહારાજની સમાધિ પર રામનામી અને પુષ્પમાળા અર્પણ કરી હતી.

      સમાધિસ્થ સ્વામી શ્રી મુક્તાનંદગીરીજી મહારાજનો મનોરથ હતો કે ગુરુ શિખર પર કમંડલ કુંડ ખાતે મોરારીબાપુના શ્રીમુખે રામકથાનું ગાન થાય. એમની દૈહિક નહીં પણ ચૈતસિક ઉપસ્થિતિમાં બાપુ દ્વારા શનિવાર સવારથી રામકથાનું ગાન થશે.ગિરનારની ગીરિકંદરાઓમાં 

વિશ્વ મંગલ માટે સદાય ઉપાસનારત અનેક પ્રગટ-અપ્રગટ દિવ્ય ચેતનાઓ સાથે સ્વામી મુક્તાનંદ બાપુની દિવ્ય ચેતના પણ સંમિલિત થઇ છે. એમને હ્રદયપૂર્વકની ભાવવંદના અને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

(12:51 pm IST)