Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોરબીમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ અંગે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો ચિતાર આપી તેનાથી સમાજમાં આવેલ પરિવર્તન અંગે વિસ્તૃત છણાવટ કરી

મોરબી શહેરનો આઠ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગતનો કાર્યક્રમ પશુપાલન અને ગૌ સંવર્ધન તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.

જનસુખાકારીના સંકલ્પને સરકારની નેમ ગણાવતા રાજ્યમંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના લોકોની દરકાર લેવામાં આવી રહી છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો ચિતાર આપી તેનાથી સમાજમાં આવેલ પરિવર્તન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ઉપરાંત ગરીબ અને વંચીતોના જીવનધોરણમાં આ યોજનાઓથી આવેલ સુધારાની સાથે ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સ્વપ્નની સિદ્ધિઓ વર્ણવી હતી.
ગરીબ કલ્યાણની સાથે સુસાશનની સુવાસને સાંકળી લેતા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ તકે જણાવ્યું હતું કે, ભારતભરમાં ભ્રષ્ટાચારને બદલે હવે શિષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છે. કિસાન સન્માન નિધિથી ધરતી પુત્રોનું સન્માન કરવામાં આવ્યું, ઉજ્જવલા યોજના ગેસની સુવિધા સાથે ઘરમાં સુખાકારીનું અજવાળુ લાવી તથા આવાસ યોજનાએ લોકોની માથે છત આપી. એમ વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો થઇ રહ્યા છે.
વધુમાં મંત્રી મેરજાએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્વનિધિ યોજના વગેરેથી સમાજને થયેલા લાભોની ગાથા ગુંજતી મુકી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં મેડીકલ કોલેજની મંજૂરી, ૧૮ પેટા આરોગ્ય કેન્દ્ર, મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતો અને સ્પેશ્યાલિસ્ટ સ્ટાફ વગેરે જેવા કામોની સિદ્ધિ વર્ણવી વિકાસના માર્ગે હરણફાળ ભરી રહેલા મોરબીમાં ૧૪૦૦ કરોડ જેટલી રકમના વિવિધ પ્રકલ્પો હાલમાં ચાલી રહ્યા છે તેવું વધુમાં જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાનથી આવેલ સોઢા પરિવારના ૬ સભ્યોને ભારતીય નાગરિકત્વ આપ્યું આ પ્રસંગે મહાનુભવોના હસ્તે સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વનિધિ યોજના, ઉજ્જવલા, મુદ્રા યોજના, વન નેશન વન રેશન, આયુષ્માન ભારત તેમજ પોષણ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.
જે કાર્યક્રમમાં મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, મહિલા અગ્રણી મંજુલાબેન દેત્રોજા, ઇન્ચાર્જ કલેકટર એન કે મુછાર, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરીયા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા, કિશોરભાઈ ચીખલીયા સહિતના અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:11 am IST)