Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોરબીમાં ઔદ્યોગિક સલામતી અંગે સેમિનાર યોજાયો

ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ રાજકોટ દ્વારા મોરબી સિરામીક એસોશિએશનના સહયોગથી આયોજન

 મોરબી :ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ રાજકોટ દ્વારા મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી ખાતે ઔદ્યોગિક કામદારો માટે સલામતી અંગે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી.
વધુમાં કારખાનામાં શ્રમયોગીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય અને કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે કારખાનાઓમાં સલામતી અને સુરક્ષા પ્રત્યે જાગૃતતા વધે આ હેતુથી સલામતી અને સુરક્ષા અંગે તાલીમ કાર્યક્રમનુ પણ સેમિનાર દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધિકારી દ્વારા દ્રશ્ય શ્રાવ્ય સાધનો તથા પ્રેક્ટિકલ દ્વારા આફત સમયે કઇ રીતે શ્રમયોગીને બચાવી શકાય તેની સમજુતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, અને માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા તથા મોરબી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જે.એમ.દ્વિવેદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુ.જે.રાવલ, અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

(1:09 am IST)