Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં વધુ એક હત્યા....

મધ્યપ્રદેશનાં શ્રમિકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

હત્યાના કારણ અને હત્યા કરનારા અંગે પોલીસ તપાસનો ધમધમાટઃ કારખાનામાં ખેલાયો ખૂની ખેલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ :.. મોરબીમાં ૪ દિવસ પહેલા નામચીન મમુ દાઢીની હત્યા બાદ આજે મોરબીમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. મધ્ય પ્રદેશના શ્રમિક ઉપર છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

મોરબીમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ ગ્રાન્ડ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ એનર્જી નામના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા મધ્ય પ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવા આવી હોવાનું સામે આવતા બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે.

આ બનાવના કારણ અંગે તથા હત્યા કોણે કરી ? તે બાબતની તપાસ પોલીસ ટીમે શરૂ કરી છે. મૃતકનાં સગા-સંબંધીઓની પુછપરછ તથા ડોગ સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યા આડાસંબધના કારણે થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે તેમ મોરબી બી ડીવીઝનના પી.આઇ. વિરલ પટેલે જણાવ્યું હતું જો કે જુદી - જુદી દિશામાં તપાસ થઇ રહી છે.

(4:10 pm IST)