Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામકંડોરણામાં મહોરમ પર્વની ઉજવણી તાજીયાનું વિશાળ ઝુલુસ નીકળ્‍યું

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૯ : સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ જમાત દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નિયત કરેલ રૂટ ઉપર આકર્ષક તાજીયાઓ જાહેર માર્ગો પર ફરી દરબારગઢ ચોક ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં હિન્‍દુ મુસ્‍લિમ ભાઇઓ બહેનોએ તાજીયાના દર્શન કર્યા હતા. આ તાજીયા ઝુલુસમાં મુસ્‍લિમ બિરાદરોએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાજીયા ઉપર તિરંગો લહેરાવીને દેશભકિતનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. આ તાજીયા ઝુલુસ તેમજ મહોરમ તહેવારના પ્રસંગે હનીફભાઇ મચ્‍છીવાલા, મહમદભાઇ બ્‍લોચ, જુમાભાઇ ખુરેશી, હાજી અબ્‍દુલા (અબુશેઠ), હનીફભાઇ ઠેબા, તેમજ તમામ તાજીયા કમિટી ગ્રુપ અને એકતા મંચ ગ્રુપે જહેમત ઉઠાવી આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ મહત્‍વનો હોય સવારથી જ મુસ્‍લિમ બિરાદરો મસ્‍જીદોમાં ઉમટી પડયા હતા. અને સુખ, સમૃધ્‍ધિ અને શાંતિ માટે દુઆઓ માંગવામાં આવી હતી. આ તાજીયાના પ્રસંગે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, પી.એસ.આઇ તથા પોલીસ સ્‍ટાફ ભાજપ મહામંત્રી ગૌતમભાઇ વ્‍યાસ, નાથાભાઇ બાલધા, આશિષભાઇ કોયાણી, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. અને તાજીયા કમિટી દ્વારા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

(10:42 am IST)