Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પોરબંદરના નોટરી કે.ડી.પીરઝાદાની સેવા ઉપર પ્રતિબંધ

નોટરી વ્યવસાય સંબંધે ગેરવર્તણુકની ફરીયાદ બાદ સક્ષમ અધિકારીઓના અહેવાલને ધ્યાને રાખીને સરકાર દ્વારા કાર્યવાહી

ગાંધીનગર, તા., ૧૦: પોરબંદરના નોટરી કરીમભાઇ ડી. પીરઝાદા (કે.ડી.પીરઝાદા)નું નોટરી પ્રમાણપત્ર રદ કરી કાયમી ધોરણે નોટરી તરીકે ડીબાર (સેવા ઉપર પ્રતિબંધ) કરવાનો રાજયના કાયદા વિભાગે નિર્ણય કર્યો છે. નોટરી અધિનિયમ ૧૯૫૨ની કલમ ૧૦ ( ડી )ની જોગવાઇ મુજબ આ અધિનિયમની કલમ ૪ હેઠળ નિભાવવામાં આવતાં રજીસ્ટરમાંથી તેઓનું નોટરી તરીકેનું નામ દૂર કરવામાં આવ્યું છે.

નોટરી અધિનિયમ ૧૯૫૨ અને તે હેઠળ ઘડેલા નોટરી નિયમો ૧૯૫૬ અન્વયે એડવોકેટ નોટરી કરીમભાઇ ડી. પીરઝાદાને પોરબંદર જિલ્લા તથા તાલુકા માટે નોટરી પબ્લિક તરીકે નોટરી રજી. નં. ૪૧૨/૨૦૦૨ થી તા.૫-૭-૨૦૦૨ના રોજ નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ નોટરીના વ્યવસાય સંબંધિત ગેરવતર્ણૂકના આક્ષેપ બાબતે રાજનભાઇ દામોદરભાઇ કિલ્લાકરે ફરિયાદ કરી હતી.

આ ફરિયાદની સરકાર દ્રારા સક્ષમ સતાધિકારીને તપાસ સોંપી હતી. સક્ષમ સતાધિકારીએ ફરિયાદી રાજનભાઇ તથા નોટરી કે.ડી.પીરઝાદાએ રજૂ કરેલી મૌખિક તેમજ લેખિત પુરાવાને ધ્યાને લઇને ૨૧-૧૧-૨૦૧૪ની રોજ સરકારને તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના પગલે સરકાર દ્રારા તેઓનું નોટરી પ્રમાણપત્ર રદ કરવા પરત્વે ૩-૧૨-૨૦૧૪ના રોજ અધિસૂચનાથી પ્રસિધ્ધ કર્યું હતું. તેનાથી નારાજ થઇને નોટરી પીરઝાદાએ હાઇકોર્ટમાં રીટ કરી હતી. જેમાં હાઇકોર્ટે ૧૨-૨-૨૦૧૬ના હુકમથી જો સરકારને કેસની હકીકતો જોતાં કાર્યવાહી જરૂરી જણાય તો પીટીશન સામે નવી કાર્યવાહી હાથ ધરી શકશે તેવા હુકમ સાથે ૩-૧૨-૨૦૧૪ની અધિસૂચનાને સેટ એસાઇડ કરી હતી.

 આ હુકમ સામે સરકાર દ્રાર લેટર્સ પેટન્ટ અપીલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે કે.પી.પીરઝાદાને જો તેઓ કાંઇ રજૂઆત કરવા માંગતા હોત તો તેમને સક્ષમ સતાધિકારીનો રિપોર્ટ આપી તે પરત્વે સાંભળી નિર્ણય લેવા હુકમ કર્યો હતો.

નોટરી કે.ડી.પીરઝાદાને સક્ષમ સતાધિકારીનો રિપોર્ટ આપી તે પરત્વે તેઓની કોઇ રજૂઆત હોય તો તે સાંભળવા અર્થે ન્યાયના હિતમાં જરૂરી અને વાજબી તક આપી સાંભળ્યા હતા. બાદમાં સક્ષમ સતાધિકારીએ ૧૪-૬-૨૧ના રોજનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો. આ અહેવાલમાં કે.ડી. પીરઝાદાએ આચરેલ ગંભીર પ્રકારની ગેરવર્તણૂંક અને ગેરશિસ્ત સ્પષ્ટપણે પુરવાર થતાં નોટરી નિયમો ૧૯૫૬ના નિયમ મુજબ સરકારે તેઓનું નોટરી પ્રમાણપત્ર રદ કરી કાયમી ધોરણે નોટરી તરીકે ડીબાર કરવાનો નિર્ણય કર્યો છે.

(1:42 pm IST)