Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમરેલીમાં જમવાનું બનાવવાના ડખ્ખામાં યુવકની હત્યા

રૂમ પાર્ટનરે રોટલી બનાવતા આવડતી નથી તેમ કહીને ઠપકો આપતા મહારાષ્ટ્રના એકનાથ અભંગે ચંદ્રકાંતને લોખંડના પાઇપ મારતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦ : લીલીયા રોડ પર આવેલી એક ઓઇલ મીલમાં કામ કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે જમવાનું બનાવવાનું બાબતે ઝઘડો થયા બાદ સશસ્ત્ર અથડામણમાં એકનુંમ ોત થયુ છે. જયારે બીજાને પણ ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

અમરેલીમાં લીલીયા રોડ પર દાદા ભગવાન મંદિરની નજીક આવેલી વિવેક ઓઇલ મીલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના શ્રમિકો કામ કરે છે અને તેમને રહેવા માટે ત્યાં જ ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં ગત રાત્રીના સમયે ઓરડી નં.૪માં રહેતો ચંદ્રકાંત મારૂતી આંબેડકર (રહે. મુળ હાતાવાવ, તા. શેવવાવ, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) પોતાના રૂમ પાર્ટનરો માટે રસોઇ બનાવનાર એકનાથ પાંડુરંગ અભંગ (રેહ. મુળ મહારાષ્ટ્ર) વાળા પાસે આવ્યો હતો અને તને રોટલી બનાવતા આવડતી નથી તેમ કહીને ઠપકો આપ્યો હતો. આ મુદ્દે બંન્ને વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં એકનાથે ચંદ્રકાંત નામના યુવાનને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા મારી દેતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મૃત્યુ થયુ હતુ. જયારે મૃતક ચંદ્રકાંતે પણ એકનાથને માથામાં લોખંડના પાઇપ મારત ા તેને પણ ઇજાઓ થઇ હતી. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ચંદ્રકાંતનું મૃત્યુ થતા પોલીસે એકનાથ સામે હત્યાનો ગુનો નોંધ્યો  છે. જયારે સામા પક્ષે ચંદ્રકાંતે પણ લોખંડના પાઇપથી હુમલો કરતા પોલીસ દ્વારા મૃતક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. સારવાર બાદ આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. 

(1:41 pm IST)