Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

એસ્સારે જામજોધપુરમાં ઓકિસજન જનરેટર પ્લાન્ટની ભેટ ધરી

વિજયભાઇ રૂપાણીએ એસ્સારે દાન કરેલા ઓકિસજન જનરેટર પ્લાન્ટનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમ થકી કર્યુ : પ્લાન્ટ જામજોધપુરમાં તબીબી સુવિધાઓને મજબૂત કરશે : કોવિડ-૧૯ની બીજી લહેર દરમિયાન એસ્સારે દેવભૂમિ દ્વારકામાં ૧૦૦ બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર સ્થાપિત કરીને ગુજરાત સરકારને ટેકો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ : એસ્સારે જણાવ્યું હતું કે, ગ્રૂપે એની સીએસઆર સંસ્થા એસ્સાર ફાઉન્ડેશન દ્વારા જામજોધપુર સીએચસીમાં ઓકિસજન જનરેટર પ્લાન્ટનું દાન કર્યું છે. ગુજરાત સરકારના કોવિડ-૧૯ મહામારી સામે લડવાના પ્રયાસોને ટેકો આપવા અને સંભવિત ત્રીજી લહેર માટે શ્રેષ્ઠ રીતે સજ્જ થવા, પ્લાન્ટ એરિયાની તબીબી માળખાગત સુવિધાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્લાન્ટનું ઉધ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને પૂર્વ એમએલએ ચિમનભાઇ સાપરિયા, જામનગરના ડેપ્યુટી ડીડીઓ પાર્થ કોટડિયા, જામજોઘપુર એપીએમસીના ચેરમેન અને પૂર્વ એમએલએ બ્રિજરાજસિંહ જાડેજા, સાંત ખરે (સીઇઓ, એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ) અને કનૈયાલાલ મોટલા (હેડ, કોર્પોરેટ રિલેશન, એસ્સાર) ઉપસ્થિત રહ્યાં હતાં.

એસ્સાર ગુજરાતના લોકો સાથે ગાઢ જોડાણ ધરાવે છે અને છેલ્લાં પાંચ દાયકાથી વધારે સમયમાં ગ્રૂપની વૃદ્ઘિમાં સતત સાથસહકાર આપવા બદલ ઋણી છે. આ ઓકિસજન પ્લાન્ટ સરકારના ત્રીજી લહેર શરૂ થવાના કેસમાં વધારે સારી રીતે સજ્જ રહેવાના પ્રયાસોને વેગ આપશે તથા જામજોધપુર તાલુકાના લોકોને તબીબી ઓકિસજનનો પુરવઠો સમયસર પ્રદાન કરવામાં ટેકો આપશે.ઓકિસજન પ્લાન્ટ બુસ્ટર કમ્પ્રેસ્સર સાથે પ્રતિ કલાક 20NM3 ઓકિસજન જનરેટર છે અને પ્રતિ મિનિટ ૩૩૩ લિટરની ક્ષમતા ધરાવે છે, જે એકસાથે ૨૪ બેડને સેવા આપવા પર્યાપ્ત છે. પ્લાન્ટ વાતાવરણમાંથી હવા શોષવા અગાઉ એને તબીબી-ગ્રેડના ઓકિસજનમાં પરિવર્તિત કરશે. ઉપરાંત તબીબી ધારાધોરણ ધરાવતા સીલિન્ડર્સ ભરવા માટેના પ્લાન્ટ ઉપરાંત એક કમ્પ્રેસ્સર સ્થાપિત કરવામાં આવ્યુ છે. આ ૨૪ કલાકમાં આશરે ૮૦ સિલિન્ડર ભરવાની ક્ષમતા ધરાવે છે. એસ્સારે પ્લાન્ટના વિવિધ ઘટકો દુનિયાના વિવિધ ભાગોમાંથી મંગાવ્યા છે અને પ્લાન્ટનાં સંપૂર્ણ ખર્ચનું વહન 'એસ્સાર કેર ઇનિશિયેટિવ' અંતર્ગત થયું છે. પ્લાન્ટ કટોકટીના કેસમાં લોકોની જરૂરિયાત પૂર્ણ કરી શકશે અને તેમને જરૂરી રાહત પ્રદાન કરશે. ઓકિસજન પ્લાન્ટની કામગીરી પર હોસ્પિટલના સ્ટાફની તાલીમ પ્લાન્ટના સપ્લાયર્સ એન્જિનીયર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ગયા વર્ષે એસ્સાર ફાઉન્ડેશને 'એસ્સાર કેર ઇનિશિયેટિવ' શરૂ કર્યું હતું, જેનો આશય ભારતની કોવિડ-૧૯ સામેની લડાઈને ટેકો આપવાનો છે. આ પહેલ અંતર્ગત બે મિલિયનથી વધારે ભોજન અને ૧.૫૫ લાખ મેડિકલ પુરવઠો દેશભરમાં જરૂરિયાતમંદોને પૂરો પાડવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે જયારે દેશ વાયરસની બીજી લહેરમાં પકડમાં આવ્યો હતો, ત્યારે એસ્સારે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ સાથે જોડાણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા (ગુજરાત)માં ઓકિસજન સાથે સજ્જ ૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું હતું. આ સુવિધાઓએ કટોકટીના સમયગાળા દરમિયાન જરૂરી તબીબી માળખું ઉમેરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને ઘણા દર્દીઓને વાયરસ ઇન્ફેકશનમાંથી સાજાં થવામાં મદદ પૂરી પાડી હતી. એસ્સાર ફાઉન્ડેશન વિવિધ પહેલો મારફતે વિસ્તારના લોકોને ટેકો આપવાનું અને જરૂરિયાતમંદોને રાહત પ્રદાન કરવાનું જાળવી રાખશે.

(11:54 am IST)