Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કચ્‍છનાં શિક્ષકે ‘એની ટાઈમ એજ્‍યુકેશન' માટે કિયોસ્‍કનું સર્જન કર્યુ : ગુજરાતનો પ્રથમ હરતો ફરતો ક્‍લાસ બનાવી શિક્ષકે ચોતરફ નામના મેળવી

કચ્‍છનાં શિક્ષકની સરાહનીય શોધને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા તેમનુ સન્‍માન કરાયુ : હવે વિદ્યાર્થીઓ તેમના સમયનો સદુપયોગ કરી શિષણ મેળવી શકશે

ભુજઃ શિક્ષક કભી સાધારણ નહિ હોતા આ કહેવતને કચ્‍છનાં એક શિક્ષકે સાર્થક કરી બતાવ્‍યુ છે. કચ્‍છનાં શિષક દ્વારા લોકડાઉનનાં સમયમાં ‘એની ટાઈમ એજ્‍યુકેશન' માટે કિયોસ્‍કનુ સર્જન કર્યુ હતુ કે જે ગુજરાતનુ પ્રથમ કિયોસ્‍ક છે. આ કિયોસ્‍ક ધો.1 થી 8 નાં વિદ્યાર્થીઓનાં શિષણનું કન્‍ટેન્‍ટ ધરાવે છે. શિક્ષકે જણાવ્‍યુ હતુ કે આ કિયોસ્‍કને વેકેસન દરમિયાન બજારમાં મુકવામાં આવશે. જેથી બાળકો તેમના અનુકુળ સમયે આ કિયોસ્‍કનો ઉપયોગ કરી અભ્‍યાસ મેળવી શકે.

ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા... એ આજના યુગમાં ગામડાના શિક્ષક દિપક મોતાએ સાબિત કર્યું છે. શિક્ષક પોતાની પ્રામાણિકતાથી અભ્યાસ કરાવે તો એ ધારે એવો સમાજ નિર્માણ કરી શકે છે. આવા દીપક મોતાએ કોરોનાકાળ વખતે જે કામગીરી કરી અને વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા સેવી અને અભ્યાસ ના બગડે તેના માટે શિક્ષણ રથ અને ઘરે-ઘરે ફરીને શિક્ષણ પહોચાડ્યું અને આજ યુગ અનુરૂપ નવું પરિમાણ ઉમેર્યું અને ‘એની ટાઈમ એજ્યુકેશન’ માટે કિયોસ્કનું સર્જન કર્યું. તેવા શિક્ષકની નોંધ હવે ગાંધીનગરમાં લેવાઈ છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા આ શિક્ષકનુ સન્માન કરાયુ છે.

માંડવીના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું પ્રથમ એજ્યુકેશનલ કિઓસ્ક - ATE AnyTime Education નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેક્ટ અને ગુજરાતનું પ્રથમ કિયોસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દિપક મોતા કે જેઓ હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને કંઈક ને કંઈક નવતર પ્રયોગ કરતા રહે છે. જેથી કરીને વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગે અને કોઈ પણ સંજોગોમાં તેમનું શિક્ષણ ના બગડે. આ વર્ષે જાન્યુઆરી 2022માં જ્યારે કોરોનાની લહેરના કારણે શાળાઓ બંધ થઈ અને શિક્ષણ ફરીથી બંધ થયું ત્યારે શાળાના શિક્ષક દિપકભાઇ ATM માંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને વિચાર આવ્યો. તેમણે વિચાર્યુ કે, જેવી રીતે કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી શકાય છે તે જ રીતે જો શિક્ષણમાં એવું કંઈ સંશોધન કરી શકાય તો અગાઉ જે રીતે કોરોનાના કારણે લોકડાઉન થયું તે ફરીથી થશે અને વિદ્યાર્થીઓનો શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો અનિવાર્ય છે.

 દિપકભાઇ મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ વિદ્યાર્થીઓ ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSK બનાવાયુ છે. જેને છાત્રાર્પણ કરવામાં આવ્યું છે. આ Educational KIOSK માં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી માધ્યમના શિક્ષણનું કન્ટેન્ટ ધરાવે છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું છે.

દિપક મોતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ KIOSK ATM ની રીતે ઉપયોગમાં લેવાશે અને એનું નામ ATE રાખવામાં આવ્યું છે એટલે કે Any Time Education. વેકેશન દરમિયાન આ KIOSK બજારમાં રાખવામાં આવશે. જેથી બાળકો વેકેશનમાં તેમના અનુકૂળ સમયે આ KIOSK નો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે. વેકેશન બાદ શાળામાં આ KIOSK મૂકવામાં આવશે, જેથી બાળકો શાળામાં પણ બાળકો તેનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે.

આ Educational KIOSKના છાત્રાર્પણ પ્રસંગે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના પૂર્વ નિયામક ડૉ. ટી.એસ. જોષી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગરના પૂર્વ નિયામક ડૉ. નલિન પંડિત, કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના પ્રાચાર્ય સંજયભાઈ પી. ઠાકર, કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. દર્શનાબેન ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિપકભાઈ મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી અને ત્યાર બાદ કોરોના કાળમાં જ્યાં ગાડીના પહોંચી શકે ત્યાં જવા માટે ઇબાયસિકલ બનાવીને સ્પીકર અને લેપટોપના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવામાં આવ્યું હતું

શિક્ષકે પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ

દિપકભાઈ મોતાનું માનવું છે કે, સરકાર તરફ્થી શિક્ષક તરીકે તેમને પૂરતી સવલતો અને પગાર મળે છે, તો તેમને પણ બાળકોના શિક્ષણને લઈને પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને નવા નવા સંશોધનો અને પ્રયોગો કરીને બાળકોને ભણવવો જોઈએ. જેથી કરીને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. તો ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈએ જણાવ્યુ કે, તેમણે ગામનુ જ નહિ, ગુજરાત ગૌરવ એવા શિક્ષક દિપક મોતાએ કચ્છનું નામ રોશન કર્યું છે.

(5:25 pm IST)