Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયાના વૈશાલીબહેન ગઢીયાએ ‘શ્રીગાઢેશ્રી સખી મંડળ’ થકી રૂ. ૧ લાખની લોન મેળવી બિઝનસ વુમન બન્યા

ગ્રામીણ મહિલાઓને આયુષ્માન કાર્ડ, ઈ- શ્રમ કાર્ડ, ઈ.કે. વાય સી કાર્ડ કાઢવા સહિતની ઓનલાઇન સેવાનો લાભ પણ આપે છે

રાજકોટ:રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામની ગૃહિણીશ્રી વૈશાલી બહેન ગઢીયા ‘શ્રીગાઢેશ્રી સખી મંડળ’ સાથે જોડાઈને  સફળ કટલેરીની દુકાન ચલાવીને આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે.

  રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ કાર્યરત મિશન મંગલમ અંતર્ગત  જિલ્લાભરમાં વિવિધ બહેનોની આર્થિક ઉન્નતી માટે સખી મંડળો ચાલી રહયા  છે. જે અંતર્ગત અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે.
ત્યારે સફળ બિઝનેસ વુમન તરીકે ગામમાં ખ્યાતિ પામનાર વૈશાલીબેન ગઢીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,  સરકારની સખી મંડળની સહાયથી  તેમણે રૂ.૧ લાખની લોન મેળવી ક્ટલેરીની દુકાન ખોલી હતી. તેમજ આ દુકાનમાં કોમ્પ્યુટર મારફતે ઓનલાઇન કામગીરી પણ કરે છે.  
તેઓએ વેપાર- ઉદ્યોગની ઓનલાઈન  તાલીમ  લીધી  હતી. જેનો બહોળા પ્રમાણમાં લાભ કોરોનાકાળ સમયે ગ્રામીણ લોકોએ  ઓનલાઇન નાણાકીય લેવડ- દેવડ મારફતે મેળવ્યો હતો. આ તાલીમથી તેઓની આવકમાં પણ વધારો થયો હતો. અને ગામડાના રહેવાસીઓને બેંકને લગતી કેટલીક સુવિધા તેઓની દુકાનેથી જ મળી રહેતી હતી. જેથી ગ્રામીણ લોકોમાં ઓનલાઇન લેવડદેવડમાં વિશ્વાસ વધ્યો હતો.
જેની સાથોસાથ મર્યાદિત સમય સુધી ખુલ્લી રહેતી દૂર આવેલી બેંકમાં જવાને બદલે ગ્રામીણવાસીઓ આધારકાર્ડ દ્વારા વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, કિસાન સન્માન નિધિના ખેડૂતને સહાય તેમજ દરેક બેન્કના ઓનલાઈન વહીવટ વૈશાલીબહેનની દુકાને જ થવા લાગ્યા હતા. આ ઉપરાંત સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃત કરીને આયુષ્માન કાર્ડ, ઈ- શ્રમ કાર્ડ, ઈ.કે. વાય સી જેવી સરકારની યોજનાની માહિતી આપી કાર્ડ પણ તેમની  જ દુકાને કાઢી આપવામાં આવતા હતા.

   તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગૃહિણી હતા. તે કરતાં વધુ માન – સન્માન તેઓ પગભર બન્યા બાદ મળી રહ્યું છે. સરકારની યોજનાથી તેમણે આર્થિક ઉપાર્જન મેળવવાની સાથે - સાથે પોતાની એક અલગ ઓળખ પણ  ઊભી કરી છે.

( સંકલન - પૂજા શિંગાળા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ)

(11:35 pm IST)