News of Thursday, 9th December 2021
જૂનાગઢ તા. ૯ : ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૫.૧૧.૨૦ ના રોજ લીલી પરિક્રમા દરમિયાન આગલા દિવસે ભવનાથ તળેટીના સુદર્શન તળાવના કાંઠા પાસે, ફરિયાદી ઓમગીરી ગુરૂ મહંતશ્રી ગિરધરગીરી નાગા સન્યાસી સાધુ ઉવ. ૬૦ રહે. ભૈરવગુફા, સુંધાપર્વત, સુંધામાતાજી, દાતલાવાસ ગામ જી. ઝાલોર રાજસ્થાન તથા તેમના ભત્રીજા ચેલા કેવલગીરી ગુરૂ કમલગીરી સાથે ભવનાથ મંદિરે તથા જુના અખાડે દર્શન કરી, સુદર્શન તળાવના કાંઠે રાજનારાયણગીરી ઉર્ફે લંબુગીરીની કુટિયા ઝૂપડી ઉપર ગયેલા અને ત્યાં જીતેન્દ્રગીરી ઉર્ફે સૌરવગીરીની પાસે રહેલ પિસ્તોલને લંબુગીરી દ્વારા ચેક કરતા, ફાયરિંગ થતા, કેવલગીરીને ઇજા થતાં, સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું.
આ બાબતે ફરિયાદી ઓમગીરી ગુરુ મહંતશ્રી ગિરધરગીરી દ્વારા ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવતા, જે તે વખતે આરોપી રાજ નારાયણ ગિરી ઉર્ફે લંબુગીરી ગુરૂ મનમોહનગીરી રહે. ભવનાથ મંદિરની પાછળ, ત્રિકમ સાહેબની જગ્યા પાસે, ભવનાથ જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી તેમજ દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવેલ હતી.
આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી જીતેન્દ્ર ભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી રહે. નિરંજની અખાડા, ભવનાથ, જુનાગઢનું આ ગુન્હામાં નામ ખુલતા, નાસી ગયેલ હતો અને પોલીસ જયારે જયારે તપાસ કરવા જાય ત્યારે મળી આવતો ના હતો અને ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ હતો.
જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ખાસ ઝુબેશના ભાગરૂપે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.વી.ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ડી.જી.બડવા તથા સ્ટાફના હે.કો. વિક્રમભાઈ, સાહિલભાઈ, યશપાલસિંહ, કરશનભાઇ, સહિતની ટીમ દ્વારા સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી ઉવ. ૩૫ રહે. નિરંજની અખાડા, ભવનાથ, જુનાગઢને વેરાવળ પાટણના ઇન્દ્રોય ગામ ખાતે આવેલ ચામુંડા માતાજીના આશ્રમ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી જીતેન્દ્ર ભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી રહે. નિરંજની અખાડા, ભવનાથ, જુનાગઢની ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. યુસુફભાઈ, ભીમભાઈ, રામદેભાઈ, રાજુભાઇ, સહિતની ટીમ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં પોતે જયારથી ગુન્હો દાખલ થયેલ ત્યારથી ભવનાથ છોડી નાસી જઈ, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના જંગલ વિસતારમાં લંબે હનુમાનની જગ્યામાં અને ત્યારબાદ ઇન્દ્રોય ગામએ રોકાયેલ હતો. પોતે આ ગુન્હામાં પકડાયેલ હથિયાર તથા કારટીસ મધ્યપ્રદેશના સ્વામી પાર્થ પાસેથી લાવેલાનું જણાવતા, પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામા આવેલ છે તેમજ પોલીસ રિમાન્ડ મેળવવા નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન ૦૫ ના પોલીસ રિમાન્ડ ઉપર મેળવી વધુ તપાસ હાથ ધરી, હથિયાર આપનાર પાર્થ સ્વામીને પકડી પાડવા કાર્યવાહી ધરવામાં આવેલ છે.