Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ધોરાજી આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સાથી કર્મચારી સામે ભૂતપૂર્વ કર્મચારીએ કરેલ દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા : માથામાં સેથો પુરી અને લગ્ન કરી લીધેલા અને ઘરવાળા હા પાડશે ત્યારે કાયદેસર લગ્ન કરશુ તેવું કહી અને ત્યારબાદ પણ શરીર સંબંધ બાંધ્યો'તો

ધોરાજી:ધોરાજી આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સાથી કર્મચારી સામે ભૂતપૂર્વ કર્મચારીએ કરેલ બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે

બનાવની વિગત એવી હતી કે ભોગ બનનાર આરોપી સાથે બેંકમાં નોકરી કરતા હતા. અને આ સમયગાળા દરમિયાન આરોપી ભૌતિક જશવંતભાઈ દેખીવાડીયા એ ભોગ બનનારને લલચાવી ફોસલાવી અને પ્રેમ સંબંધ બાંધેલ અને બેંકની તાલીમમાં અમદાવાદ ગયા ત્યારે હોટેલ કદંબ ઇન માં રોકાયેલા ત્યાં ભોગ બનનાર યુવતી (બેન્ક કર્મીને) પોતાના પત્ની તરીકે દર્શાવેલ અને રાત્રે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ગાઠીલા મુકામે માથામાં સેથો પુરી અને લગ્ન કરી લીધેલા અને ઘરવાળા હા પાડશે ત્યારે કાયદેસર લગ્ન કરશુ તેવું કહી અને ત્યારબાદ પણ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ બંને પરિવારના વડીલો આંતરજ્ઞાતિય લગ્ન માટે રાજી ન થતા આરોપી ભૌતિક જસમતભાઈ એ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરતા ભોગ બનનાર યુવતીએ નોટિસ આપેલી અને ત્યારબાદ ફરિયાદ પણ કરેલી. જે ફરિયાદના અનુસંધાને ભૌતિક ભાઈ જસમતભાઈ ને ગુજરાતની વડી અદાલત માંથી આગોતરા જામીન મળેલા હતા. અને તારીખ 14 નવેમ્બર 2019 ના રોજ આ કેસ કોર્ટના બોર્ડ પર શરૂ થયેલ. 

 આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે જે શરીર સંબંધ બંધાયેલો હતો તે શરીર સંબંધ ભોગ બનનારની મરજીથી બંધાયેલો હતો તેમની સાથે કોઈ બળજબરી કરવામાં આવી ન હતી.

   આ તબક્કે ભોગ બનનાર વતી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલો કરી હતી કે ભોગ બનનારે શારીરિક પ્રતિકાર શરીર સંબંધ વખતે કરેલો નથી પરંતુ ભોગ બનનારની જે સહમતિ લેવામાં આવેલી છે તે સહમતી ભોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી અને લેવામાં આવેલી છે. ગાઠીલા મુકામે લગ્ન કરવાનો વાયદો આપી અને આભાસી ચિત્ર ઊભું કરવામાં આવેલું છે કે ભોગ બનનાર તેની પત્ની છે અને આ રીતે ભોગ બનનાર ના શરીર નો લાભ લેવામાં આવેલો છે તેને ભોગ બનનારની સહમતિ ન માની શકાય અને આરોપીને બળાત્કારના કેસમાં તકસીરવાન કરાવવો જોઈએ.

આ તમામ દલીલો હકીકતો પુરાવાઓ અને યુવાનોને ધ્યાને લઈ ધોરાજીના  એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ આરોપી ભૌતિક જસમત દેખીવાડિયાને તકસીરવાન ઠરાવી અને ૧૦ વર્ષની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો

     આ તબક્કે ભોગ બનનાર પોતાના પતિ સાથે કોર્ટમાં હાજર રહેલ અને પત્રકારો સમક્ષ ઇન્ટરવ્યૂ આપી અને જણાવ્યું હતું કે મારા જેવી અનેક બીજી બહેનો ને વિનંતી કે ઘરના એટલે કે વડીલોની સહમતી મેળવ્યા સિવાય કોઈ પણ પુરુષ સાથે મિત્રતાથી આગળ નો કોઈ સંબંધ ન રખાય તેમને શરીર સંબંધ બાંધવા ન દેવાય લગ્ન સુધી શરીર સંબંધ બાંધી એ તો પોતાનું જીવન પણ બરબાદ થઈ જાય આવી શીખ સાથે તેમને ટૂંકા સમયમાં ન્યાય મળી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

(4:12 pm IST)