Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં નિમાબેન આચાર્ય, જીતુભાઇ વાઘાણી કુબેરભાઇ ડીંડોર જોડાયાઃ આજે સાંજે પવિત્રા શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસપાટણઃ ખાસ શ્રાવણ માસના સોમવાર તથા  મહાશિવરાત્રી પર્વે ભગવાન સોમનાથ જી પાલખીમાં બિરાજમાન થઇ બહાર નીકળતા હોય છે, જ્‍યારે દેવોના દેવ મહાદેવ પાલખી સ્‍વરૂપે બહાર નીકળે ત્‍યારે ....પ્રભુ પધાર્યા મારે આંગણે... તેવો અનેરો ભાવ ભક્‍તોમાં જોવા મળતો હોય છે, તીર્થ પુરોહિતોના મંત્રોચ્‍ચાર, ડમરૂ- શંખ-ઢોલ-શરણાઇ અને ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદ સાથે નીકળતી પાલખીયાત્રા વાતાવરણને સાક્ષાત કૈલાશ ધામ જેવી દિવ્‍યતાની અનુભૂતિ કરાવે છે. કાલે પાલખી પૂજન ગુજરાત રાજ્‍યના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી શ્રી  કુબેરભાઇ ડીંડોર, ગુજરાત વિધાનસભા અધ્‍યક્ષ શ્રી નિમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવેલ હતું.

ઉપસ્‍થિત મહાનુભાવો એ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપુજા, ધ્‍વજાપુજા કરેલ હતી, આ પ્રસંગે મંત્રી શ્રી ઓ તથા વિધાનસભા  અધ્‍યક્ષ શ્રી,  ગુજરાત ની વિવિધ યુનિવર્સિટીઓ કુલપતિશ્રીનુ સ્‍વાગત સન્‍માન ટ્રસ્‍ટી શ્રી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતું. આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર, પિયુષભાઇ ફોફંડી  સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સોમનાથમાં શ્રાવણ માસમાં નવિ શરૂ કરવામાં આવેલ ધ્‍વજા મીકેનીઝમ સીસ્‍ટમ જેથી ધ્‍વજા યાત્રીઓના હસ્‍તે મંદિરના શિખર સુધી પહોચાડવામાં આવે, આ વ્‍યવસ્‍થાનો લાભ ઉપસ્‍થિત મહાનુભાવોએ લીધેલ હતો.

ગઇકાલે શ્રી સોમનાથ મહાદેવને ચંદન અને કમળપુષ્‍પ શ્રૃંગાર કરાયો હતો. આજે સાંજે પવિત્રા શ્રૃંગાર કરાશે.(તસ્‍વીર -અહેવાલઃ દિપક કક્કડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડઃ પ્રભાસ પાટણ)

(10:58 am IST)