Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નરસંગપરાના મયુર અને તેના ભાઇ યોગેશને સસરા-સાળાએ સમાધાન કરવા બોલાવી હત્યાનો પ્રયાસ કર્યો

સસરા અનિલભાઇ પરમાર, સાળા મયુર ઉર્ફ ગડ્ડુ અને નરેન્દ્ર ઉર્ફ અવલે છરીના ઘા ઝીંકયાઃ નરેન્દ્રને હાથમાં મુંઢ ઇજાઃ અનિલભાઇએ-તમે કેમ અમારી દિકરીને હેરાન કરો છો કહી ઝઘડો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૯: જુની કલેકટર કચેરી પાછળ નરસંગપરા-૧માં રહેતાં અને એચજે સ્ટીલમાં કામ કરતાં મયુર દિનેશભાઇ નારોલા (ઉ.વ.૨૬) તથા તેના ભાઇ યોગેશ દિનેશભાઇ નારોલા (ઉ.વ.૨૪) પર રવિવારે ભગવતીપરા સુખસાગર સોસાયટી-૫માં મયુરના સસરા અનિલભાઇ પરમારના ઘરે હતાં ત્યારે સસરા અનિલભાઇ ચકુભાઇ પરમાર, બે સાળા મયુર ઉર્ફ ગુડ્ડુ અનિલભાઇ અને નરેન્દ્ર ઉર્ફ અવલ અનિલભાઇએ મળી ગાળો દઇ છરીથી હુમલો કરી મયુર નારોલાને પડખામા તથા બરડામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. ભાઇ યોગેશ વચ્ચે પડતાં તેને છાતીમાં બે ઘા, તેમજ કોણી, બગલના ભાગે ઘા ઝીંકી દેવાયા હતાં.

બંને ભાઇઓને સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, વિરમભાઇ ધગલ, રશ્મીનભાઇ પટેલ સહિતે મયુર નારોલાની ફરિયાદ પરથી તેના સસરા અનિલભાઇ અને બે સાળા ગુડ્ડુ ઉર્ફ મયુર તથા નરેન્દ્ર ઉર્ફ અવલ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. મયુરે ફરિયાદમાં જણાવ્યું છે કે આગલી રાતે મારા સસરા અનિલભાઇએ મારા પિતા સાથે અને મારી સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. તેનું સમાધાન કરવા માટે રવિવારે અમને બોલાવતાં હું અને મારો ભાઇ સસરાના ઘરે જતાં એ લોકોએ તમે કેમ અમારી દિકરીને હેરાન કરો છો? તેમ કહી ગાળ દેતાં ગાળો બોલવાની ના પાડતાં છરીથી હુમલો કરાયો હતો.

મયુરના પિતા દિનેશભાઇ નારોલાએ કહ્યું હતું કે મયુરની પત્નિ ભાવિકાને તેના માવતર પક્ષના લોકોએ કોઇ સગાના બર્થડેમાં જવા માટે બોલાવી હતી. પરંતુ મેં તેને કહેલુ કે આપણને આમંત્રણ નથી તેથી ન જવાય. આ બાબતે મારે વેવાઇ સાથે ફોનમાં ચડભડ થઇ હતી. એ પછી તેણે મારા દિકરાઓને સમાધાનની વાત કરવા બોલાવ્યા બાદ ઘા કરી લીધા હતાં.

સામા પક્ષે નરેન્દ્ર ઉર્ફ અવલ અનિલભાઇ પરમાર (ઉ.૨૨)ઍ પણ પોતાના પર બનેવી મયુર નારોલા, તેના ભાઇ યોગેશ નારોલાઍ ગાળાગાળી કરી ઝપાઝપી કરી માર માર્યાની ફરિયાદ કરી છે. હત્યાની કોશિષના ગુનામાં ત્રણેય આરોપીને સકંજામાં લઇ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:14 pm IST)