Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન કરવામાં સ્વામીનારાયણ ગુરૂકુળનું યોગદાન અમૂલ્ય છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

અમરેલીના તરવાડા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૮ : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે  જણાવ્યું હતું કે આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન કરવામાં સ્વામીનારાયણ ગુરૂકુળનું યોગદાન અમૂલ્ય છે.

રાજયપાલશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રોને ઉન્નત જીવનલક્ષ્ય નિયત કરી અથાક પરિશ્રમ કરવાની શીખ આપી હતી, અને સંસ્થામાં અભ્યાસ કરતા ૧૬૦૦ છાત્રોનું જીવન ઉજાગર કરવા બદલ સંસ્થાના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.

ગુજરાતની ધરતી પર જન્મ લેનાર સંતો-તપસ્વીઓ-સમાજસુધારકોને યાદ કરીને રાજયપાલશ્રીએ માનવતા માટે જીવન સમર્પિત કરનાર સંતોનો ઋણ સ્વીકાર કર્યો હતો ગૌવંશનું સંરક્ષણ-સંવર્ધન અને જળસંચય ક્ષેત્રે સરાહનીય યોગદાન કરવા બદલ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સ્વામિનારાયણ સંતોને નમન કર્યા હતા અને પ્રાચીન ભારતીય ગુરુકુળ પરંપરા પુનર્જીવિત કરવા બદલ આનંદ વ્યકત કર્યો હતો.

રાજયપાલશ્રીના હસ્તે આદર્શ સુરદાસ શિક્ષકશ્રી ગોઝારીયા બિપીનભાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતના પ્રથમ ચરણ અન્વયે રાજયપાલશ્રી દેવવ્રત તરવડા સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે સમી સાંજે આવી પહોંચ્યા હતા. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતનું સ્વામીનારાયણ સંતવર્યોએ ફૂલોનો હાર પહેરાવી બહુમાન કર્યું હતું.

અમરેલી તાલુકાના તરવડા ગામના સ્વામી નારાયણ મંદિરના પ્રાંગણમાં આવેલ ગૌશાળાની રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ મુલાકાત લીધી હતી, ગૌપૂજન કર્યું હતું. અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. સ્વામી નારાયણ મંદિર ખાતે રાજયપાલશ્રીએ દર્શન કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે શ્રી હરિસ્મરણદાસજી સ્વામીના સ્વાગત પ્રવચન બાદ શ્રી રાકેશભાઇ દૂધાતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સ્વામી નારાયણ સંતો શ્રી ધર્મવલ્લભદાસજી અને શ્રી કૃષ્ણપ્રિયદાસજીએ ઉપસ્થિતોને આશિર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઇ વેકરીયા, અગ્રણીશ્રી હસમુખભાઇ ગઢિયા, કરસનભાઈ ગોંડલિયા, ગુરૂકુળના છાત્રો, શિક્ષકો, ભકતગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ શ્રી ચૈતન્ય સ્વામીએ કરી હતી.

(1:13 pm IST)