Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કાલે ઝવેરચંદ મેઘાણીની ૭૪મી પુણ્યતિથી : મેઘાણી વંદના - કસુંબલ લોકડાયરો

www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે : ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, ધીરૂભાઇ સરવૈયા, નીલેશ પંડયા, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ અને પંકજ ભટ્ટ મેઘાણી - ગીતોની રમઝટ બોલાવશે : ઝવેરચંદ મેઘાણીના વિવિધ ઐતિહાસિક સ્મૃતિ - સ્થળો : ચોટીલા (જન્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ) ખાતે ભાવાંજલિ અર્પણ થશે : ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી - સાહિત્યનું પુસ્તક પ્રદર્શન યોજાશે

રાજકોટ તા. ૬ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૪મી પુણ્યતિથિ – ૯ માર્ચ ૨૦૨૧ ને મંગળવારે – સાંજે ૫ કલાકથી  'મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)નું ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે. નવી પેઢી ઝવેરચંદ મેઘાણીના જીવન-કાર્ય-સાહિત્ય-સંગીતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા સતત ૧૧મા વર્ષે આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, નીલેશ પંડ્યા, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સ્વરાંજલિ અર્પણ કરશે. સુપ્રસિદ્ઘ લોકસાહિત્યકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કહેશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સુરીલું સંગીત નિયોજન રહેશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મામાની નવી સ્કૂલ) ખાતે આ 'સ્વરાંજલિ' કાર્યક્રમનું આયોજન કરાયું છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯),  કિરીટસિંહ રહેવર-મામા (મો. ૯૯૭૮૧ ૭૦૯૩૪, ૯૪૨૬૯ ૭૨૧૭૮), મહિપતસિંહ વાઘેલા (મો. ૯૨૨૮૧ ૮૩૩૦૦), ધર્મેન્દ્રસિંહ વાઘેલા (મો. ૯૭૧૨૯ ૦૦૦૦૮)નો સંપર્ક કરી શકાશે. 

ઝવેરચંદ મેઘાણીના વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળો : ચોટીલા (જન્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ) ખાતે ભાવાંજલિ અર્પણ થશે.ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ચોટીલા સ્થિત ઐતિહાસિક

જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:22 am IST)