Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જેતપુરના ડેડરવાના વિનોદ રાઠોડનું છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં મોત

ભાડુ કરી ઘરે પરત આવતી વખતે બનાવઃ સાત વર્ષની માસુમ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: જેતપુર નજીક સ્વામિનારાયણ ગુરૂકુળ અને કુમકુમ ફાર્મ વચ્ચે જલારામ મંદિર પાસે બે દિવસ પહેલા છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં ડેડરવા ગામના વણકર યુવાન વિનોદભાઇ અરજણભાઇ રાઠોડ (ઉ.૪૦)નું મોત નિપજ્યું છે.

વિનોદભાઇ તા. ૪ના સાંજે છએક વાગ્યે પોતાની છકડો રિક્ષામાં સામાન ભરી ભાડુ કરવા જેતપુર ગયા હતાં. ત્યાંથી પરત ડેડરવા આવતી વખતે જેતપુર નજીક કુમકુમ ફાર્મ પાસે રિક્ષા પલ્ટી મારી જતાં ગંભીર ઇજા થતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગત સાંજે તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર વિનોદભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં સોૈથી નાના હતાં. સંતાનમાં સાત વર્ષની એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:28 am IST)