Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસમાં રહેશે કે ભાજપમાં મેળવશે પ્રવેશ ? લોકોએ શરતો લગાવવાની પણ શરૂ કર્યાની ભારે ચર્ચા

સતત ભાજપાના આગેવાનો સાથે એક મંચ નજરે પડતા વસોયાનો ભાજપ શિકાર કરશે કે પછી વસોયા શિકારીઓનો શિકાર કરશે.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યા છે.
ખાસ કરીને છેલ્લા છ માસથી લલિત વસોયા ભાજપાના ધારાસભ્ય, સાંસદ અને ભાજપના ઉપલી કેડરના નેતાઓ સાથે અનેક વખત એક મંચ પર જોવા મળ્યા હતા. અને આ વિષયને લઈ મીડિયામાં અનેક વખત વસોયા ની ભાજપમાં જોડાઈ જવાની વાતો ચાલી હતી. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ ફરી ખીલી છે ત્યારે હવે સતત ભાજપા ના આગેવાનો સાથે એક મંચ પર દેખાતા લલિત વસોયાનો ભાજપા શિકાર કરશે કે પછી લલિત વસોયા શિકારીઓનો શિકાર કરશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.
 સંભળાતી લોક ચર્ચા મુજબ લલિત વસોયા કોંગ્રેસમાં રહેશે કે પછી ભાજપા સાથે જોડાશે તેને લઈ લોકો શરત લગાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે અને ગુજરાતના અને કેન્દ્રના ટોચના ભાજપના આગેવાનો ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના હજુ અનેક ધારાસભ્યો ભાજપાના રડારમાં છે તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્યએ કેસરિયા કર્યા ત્યારે લોકોનું ધ્યાન બહુચર્ચિત લલિત વસોયા પર મંડાયું છે.
જોકે લલિત વસોયા નાનપણથી જ સક્રિય રાજનીતિ સાથે જોડાયેલા હોય અને સૌરાષ્ટ્રમાં રાજકીય રીતે વિચલક્ષણ બુદ્ધિ ધરાવતા હોય તેવા પ્રકારની તેમની છાપ રહી છે. ભાજપાના આગેવાનો સાથે એક મંચ પર બેસી અને સાથે ફોટા પડાવી વસોયા કદાચ પોતાની તાકાત વધારી રહ્યા હોય તેવું પણ બની શકે જો કે હાલ સુધીમાં કોઈએ ચોક્કસ જણાવ્યું નથી કે વસોયા ચૂંટણી પૂર્વે કેવો નિર્ણય લેશે આ મામલે એક વાત ચોક્કસ થઈ શકે કે લલિત વસોયા ભાજપમાં જવાને બદલે કોંગ્રેસમાં જ રહેશે અને કોંગ્રેસમાંથી જ ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. અત્યાર સુધી વિવિધ માધ્યમો દ્વારા બજારમાં અનેકઅફવાઓ ચાલી હતી. હવે લાગી રહ્યું છે કે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. દશેરાના દિવસે ભાજપના ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા સાથે લલિત વસોયાએ રાવણ દહન કાર્યક્રમમાં બંને નેતા સાથે જોડાયા હતા જોકે આજ સવારથી લલિત વસોયા અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની ટીમ પૂરજોશમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમોમાં લાગી જતા લલીત વસોયા કોંગ્રેસમાં રહીને ચૂંટણી લડશે તે વાત નકકી છે.
ઇલેક્ટ્રોનિક મીડિયામાં વારંવાર લલિત વસોયા ભાજપના સાંસદ રમેશભાઈ ધડુક તેમ જ ભાજપના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યઓ સાથે જોવા મળ્યા છે ત્યારે લલિત વસોયા ટૂંક સમયમાં જ ભાજપમાં આવે છે તેવી અટકડો પણ ચાલુ થઈ હતી પરંતુ છેલ્લા બે થી ત્રણ દિવસમાં આખી સિસ્ટમ ફરી ગઈ હોય તેવું ગાંધીનગરના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે

હવે ભારતીય જનતા પાર્ટી ધોરાજી વિધાનસભા સીટમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે

ગત વિધાનસભા 75 ધોરાજી સીટ ઉપર ભાજપના હરિભાઈ પટેલ કડવા પાટીદાર તેમજ કોંગ્રેસમાંથી લલિત વસોયા લેઉવા પટેલ વચ્ચે ફાઈટ થઈ હતી પરંતુ કડવા લેવાના વાદમાં તેમજ હાર્દિક પટેલ પાસના આંદોલનમાં કડવા પાટીદાર સમાજ હાર્દિક પટેલ તરફ હતો જેના માધ્યમથી લલિત વસોયા ને જવલંત બહુમતીથી વિજય થયો હતો પરંતુ હાલના સમીકરણો જુદા થઈ ગયા છે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયો છે અને પાસ આ વિસ્તારમાંથી વિખાઈ ગયું છે એ જોતા કડવા પાટીદાર સમાજ હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફ જોમ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે

આ મામલે લલિત વસોયા એ પણ જણાવેલ કે મેં અગાઉ પણ અનેક વખત ઉડતી અફવાઓ ખંડન કર્યું છે અને આજે પણ કહું છું હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાંથી જ ભાજપ સામે લડાઈ કરીશ.

(7:31 pm IST)