Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામકંડોરણામાં નરેન્‍દ્રભાઇની જાહેરસભા ન ભુતો ન ભવિષ્‍યતી સમાન બનવાની ધારણા

૪૦ વિઘા જમીનમાં ડોમ બનાવવાની કામગીરીઃ જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં તડામાર તૈયારી

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૬: સૌરાષ્‍ટ્રના એક સમયના કદાવર ખેડુત નેતા સ્‍વ. વિઠલભાઇ રાદડીયાની જન્‍મભુમી અને કર્મભુમી જામકંડોરણા ખાતે આગામી તા.૧૧ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી રહયા છે. ત્‍યારે ચુંટણી પુર્વે જબ્‍બર તાકાત પ્રદર્શન કરવા ધારાસભ્‍ય જયેશ રાદડીયા અને જીલ્લા ભાજપની સમગ્ર ટીમે એડી ચોટીનું જોર લગાવ્‍યું છે અને આગામી તા.૧૧ના જામકંડોરણા ખાતે યોજાનાર વડાપ્રધાનની આ જાહેરસભા ન ભુતો ન ભવિષ્‍યતી સમાન બની રહેવાની ધારણા છે.

પુર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના ગઢમાં યોજાનાર આ જાહેરસભામાં રાજકોટ જીલ્લામાંથી અંદાજે બે લાખ લોકો ઉમટી પડવાની ધારણા છે. આ જાહેરસભા માટે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસેની ૪૦ વિઘા જમીનમાં પાંચ વિશાળ ડોમ બનાવવામાં આવી રહયા છે અને આશરે દોઢેક લાખ લોકો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. આ જાહેરસભામાં વધુને વધુ સંખ્‍યામાં લોકો એકઠા થાય તે માટે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે બેઠકો યોજાઇ રહી છે અને લોકો તથા ભાજપના કાર્યકરો દ્વારા આગોતરી વાહન વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી રહી છે. જેના કારણે ગામડે ગામડે ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહયો છે. જાહેરસભા અને ભોજન વ્‍યવસ્‍થા તથા પાર્કીગ વ્‍યવસ્‍થા માટે સ્‍થાનીક સ્‍વયંસેવક અને ભાજપના કાર્યકરોની ખાસ સમીતીઓ બનાવવામાં આવી છે. સ્‍થાનીક આગેવાનો ગોવિંદભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ તેમજ તાલુકાના આગેવાનો રાત ઉજાગરા કરી રહયા છે. સમગ્ર જામકંડોરણા તાલુકામાં આ કાર્યક્રમને લઇને ઉત્‍સવ જેવો માહોલ જણાઇ રહયો છે જેતપુર અને જામકંડોરણા તાલુકાના ગામે ગામથી લોકો આ જાહેરસભામાં હાજરી આપવા થનગની રહયા છે.

ભાજપના સુત્રોએ જણાવ્‍યું હતું કે જામકંડોરણા ખાતે અનેક વખત સામાજીક અને રાજકીય મેળાવડામાં હજારોની સંખ્‍યામાં લોકો એકઠા થાય છે અને તેથી જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પણ સ્‍વ. વિઠલભાઇ રાદડીયાની આ જન્‍મભુમી પર જાહેરસભા માટે પસંદગી ઉતારી છે. ધારાસભ્‍ય જયેશ રાદડીયા પણ જેતપુર જામકંડોરણા ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ અને અમરેલી જીલ્લાના અનેક વિસ્‍તારોમાં પ્રભુત્‍વ અને લોકચાહના ધરાવતા હોય તેમના આંગણે યોજાઇ રહેલી આ જાહેરસભામાં લાખોની સંખ્‍યામાં લોકો ઉમટી પડે તેવી ધારણા છે.

આ જાહેરસભામાં સ્‍થાનીક ધારાસભ્‍ય જયેશ રાદડીયાની તાકાતના પણ પારખા થનાર છે. જયેશ રાદડીયા કેટલી સંખ્‍યામાં લોકો એઠકા કરે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

(11:31 am IST)