Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પર્યાવરણવિદ જીતુ તળાવિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી : પર્યાવરણવિદ જીતુભાઈ તળાવિયાના આકસ્મિક મોતના સમાચારથી શહેરજનોમાં શોક લાગણી પ્રસરી ગઈ છે

અમરેલી,તા.૫ : જાણીતા પર્યાવરણવિદ અને ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જિતુભાઈ તળાવિયોએ જીવન ટૂંકાવ્યું છે, જિતુભાઈએ ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, તેમણે ગળેફાંસો ખાયો તેવું પ્રાથમિક અનુમાન છે પરંતુ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે લઈ જવાયો છે. જીતુભાઈ તળાવિયાએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા અને ઉકાળો બનાવવાના જાણકાર હતા. તેમજ લોકોને પણ કંઈ વનસ્પતિમાંથી ક્યાં રોગનો ઉપચાર થઈ શકે તે અંગે પણ જાણકારી ધરાવતા હતા. જીતુભાઈના આકસ્મિક મોતના સમાચારથી શહેરજનોમાં શોક લાગણી જોવા મળી રહી છે. અમરેલી સિવિલ હોસ્પિટલે રાજકીય અને સામાજિક અગ્રણીઓ દોડી ગયા છે.

અમરેલી ટ્રોમાં સેન્ટર ખાતે તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારને અંતિમ સંસ્કાર માટે તેમનું શરીર સોંપાશે. ઉલ્લેખીય છે કે આપઘાત પાછળના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસ તેમના પરિવાર અને નજીકના મિત્ર વર્તૂળ પાસેથી આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરશે. જીતુ ભાઈ અમરેલીના એક સાચા પર્યાવરણ હમી હતા. જિલ્લામાં તેમની કામગીરીનો ડંકો વાગતો હતો. તેમણે અમરેલીને હરિયાળું બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. આમ તેમના આપઘાતના સમાચાર પગલે સમગ્ર પર્યાવરણ પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

(7:47 pm IST)