News of Tuesday, 5th July 2022
જૂનાગઢ,તા. ૫ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની રાજય કારોબારી બેઠક ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ. અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી , અખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિતની બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહી.
શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપૂર જીના હસ્તે દ્દીપ પ્રાગટ્ય બાદ પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ અને પ્રાથમિક સંવર્ગના મહિલા મંત્રી હેમાંગીબેન પટેલ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી.
શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જણાવ્યું કે આ અંતર્ગત મુખ્ય પાંચ કાર્યો કરવાના છે. પહેલું કાર્ય વિશ્વવિદ્યાલયો માં ૧૦૦ જેટલા સેમિનારનું આયોજન સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ઇન્ડિયા સે ભારત કી ઓર' વિષય ઉપર થશે. બીજું ૩૦૦૦ થી વધારે કોલેજમાં આ જ વિષય ઉપર વક્તવ્યનું આયોજન થશે. ત્રીજુ પહેલી ઓગસ્ટના રોજ ૧,૫૦,૦૦૦ વિદ્યાલયોમાં એક સાથે ગામમાં બેનરો સાથે રેલી કાઢી ગામની શાળામાં એ સભા કાર્યક્રમમાં રૂપાંતરિત થશે જેમાં દરેક શાળાને ભારત માતા નો ફોટો, પેમ્પ્લેટ, સ્ટીકરો ભેટ આપવામાં આવશે. ગામમાં કોઈ સ્વાતંત્ર સેનાની નો પરિવાર હોય કે શહીદ સૈનિક નો પરિવાર હોય તો તેમને શાલ શ્રીફળ આપી અને સન્માન કરવામાં આવશે. વક્તા દ્વારા આપણા લાખો સ્વાતંત્ર સેનાની કે જેમની ગાથાઓથી આપણે અજાણ છે એની માહિતી ગ્રામજનો અને બાળકોને આપી અને રાષ્ટ્રીય ભાવના નો વિકાસ કરવામાં આવશે. એક શાળામાં એક ટોળી કાર્યક્રમ પૂર્ણ કરી અને બીજી શાળા તરફ રવાના થશે અને આ જ રીતે આવો કાર્યક્રમ અન્ય બે શાળાઓમાં થશે આમ એક ટોળી દ્વારા ઓછામાં ઓછા ત્રણ કાર્યક્રમોનું આયોજન થશે. ચોથો કાર્યક્રમ એ જાહેર વ્યાખ્યાન નો ગુજરાતના તમામ જીલ્લા અને મહાનગર માં જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવશે જયાં સમાજના શ્રેષ્ઠીઓ ને જાહેર જનતા ને આમંત્રિત કરવામાં આવશે અને વક્તા દ્વારા સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંગે વક્તવ્ય આપી રાષ્ટ્રીય ભાવના જન જન માં જાગૃત કરવામાં આવશે.પાંચમો કાર્યક્રમ ‘મારુ વિદ્યાલય મારુ તીર્થ' છે.. જે આગામી ઘણા વર્ષો સુધી ચાલશે.
મોહનજી પુરોહિતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ વૈચારિક પ્રતિબંધતા ધરાવતું પ્રતિષ્ઠિત સંગઠન છે. એના વાર્ષિક કેલેન્ડરમાં સૌપ્રથમ કાર્ય એ સદસ્યતા અભિયાન છે જેમાં દરેક શાળામાં જઈ શિક્ષક મિત્રો સાથે વાર્તાલાપ કરી અને તેમને સદસ્ય બનાવી સંગઠન સાથે જોડવાના છે.કાર્ય વિસ્તાર માટે પ્રવાસ, તાલુકા જિલ્લા પ્રાંતની બેઠકો વગેરેમાં હાજરી આપી સંગઠનનો વિસ્તાર કરવાનો છે.અખિલ ભારતિય રાષ્ટ્રીય પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ એ કહ્યું કે આ વર્ષે આપણે સદસતા અભિયાનમાં સમગ્ર ભારતમાં સૌથી મોખરે રહી અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવાની હાકલ કરી ઉપસ્થિત તમામ આઠ સંવર્ગના ૩૫૦ હોદ્દેદારો એ સામુહિક સંકલ્પ કરી આ વર્ષ સંયુક્ત સદસ્યતા સંખ્યા બે લાખ કરવાનો નિર્ણય કર્યો.
સમાપન સત્રમાં ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજય ના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી.
આ રાજય કારોબારીમાં જૂનાગઢ જિલ્લાના દરેક વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત પ્રાંત ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણની યાદીમાં જણાવાયુ છે.