Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

હિન્દુ સ્મશાન પાસે દબાણ દૂર ન થતાં પાલિકા કચેરીમાં હિન્દુ સંગઠન દ્વારા રામધૂન

 કેશોદ,તા.૪ : પાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન પાસે ટીલોળી નદીનાં કાંઠે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરવામાં આવેલ હતું ત્યારે ફરિયાદ થતાં કેશોદ નગરપાલિકા દ્વારા સ્થળ રોજકામ કરી નોટીસ ફટકારી હતી ત્યારબાદ આખરી નોટિસ આપી હતી. આમછતાં દબાણ બાંધકામ દુર કરવામાં આવેલ ન હતુ અને આ અંગે છેલ્લાં આઠેક માસથી કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઇ -કારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદના હિન્દુ સંગઠનો દ્વારા કેશોદ નગરપાલિકા કચેરીમાં સત્તાધિશોને સદબુધ્ધિ આપવાનાં હેતુસર રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 કેશોદનાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હિન્દુ સ્મશાન પાસેનું ગેરકાયદેસર દબાણ બાંધકામ દુર કરવામાં ન આવતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયોછે. આ રામધુન કાર્યક્રમમાં કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ, મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર, અશ્ચિનસિહ રાયજાદા, રજનીભાઈ બામરોલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 કેશોદના સત્તાધિશો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં હિન્દુ સંગઠનો દ્વારા રાજીનામુ માંગવામાં આવ્યુ હતુ. કેશોદ નગરપાલિકામાં રામધૂન બોલાવવામાં આવતાં ચીફ ઓફિસર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે દિવસ દશમાં કાયદેસરની

 કાર્યવાહી કરવામાં આવશે.   કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ચુડાસમાએ  જણાવ્યું હતુ કે આ અંગે પાલિકાના સતાધિશો દ્વારા નકકર કાર્યવાહિ હાથ ધરવામાં નહીં આવેતો કેશોદ નગરપાલિકા કચેરીએ અચોક્કસ મુદતની ભુખ હડતાલ અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

(12:52 pm IST)