Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

આ લે..લે.. એસ.ટી.ની ચાલુ બસે ટાયર નીકળ્યું: મુસાફરોના જીવ થયા અદ્ધર

કચ્છમાં એસટી તંત્ર રામ ભરોસે, ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪: ‘એસટી અમારી સલામત સવારી’નું સુત્ર તમામ બસો પર જોવા મળતું હોય છે, પરંતુ પ્રવાસીઓની સુરક્ષા બાબતે કોઈ જ તકેદારી લેવાતી ન હોઈ અવારનવાર બસ ખોટકાઈ જવાના બનાવો વચ્ચે ઘણીવાર પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાતા રહે છે. ત્યારે ફરી એક વાર નખત્રાણા – ભુજ રૂટની એસટી બસનું પ્રવાસ દરમ્યાન ટાયર નિકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. મળતી માહિતી મુજબ ગઈ કાલે બનેલા આ બનાવમાં સવારે નખત્રાણાથી ભુજ આવી રહેલી એસટી બસ નંબર જી.જે.૧૮.ઝેડ.૬૨૭૬ વાળી મોટા યક્ષ પાસે પહોંચી હતી ત્યારે અચાનક બસનું પાછળનું એક ટાયર નિકળી ગયું હતું. બસના ચાલકે સમય સુચકતા દાખવતા તાત્કાલિક બસને થોભાવી દીધી હતી. જો કે, હાઈવે ઉપર અચાનક બનેલી ઘટનાને પગલે અન્ય વાહનચાલકો પણ આ દ્રશ્ય જોઈને અવાચક બની ગયા હતા. જ્યારે બસમાં બેઠેલા મુસાફરોએ બસનું બેલેન્સ ડગુમગુ થયેલું જોઈને ચીસાચીસ કરી મુકી હતી. સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે, બસ ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મોટી દુધર્ટના ટળી હતી.

(10:14 am IST)