Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ઘેલા સોમનાથમાં લેસર લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો-મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન ચિલ્‍ડ્રન પાર્ક વિકાસ કામોમાં ઉમેરાયા : કુંવરજીભાઇ -કલેકટર વચ્‍ચે મંત્રણા

મહાદેવને શીશ નમાવતા કલેકટર અને મહાનુભાવો : શિવજીના નટરાજન સહિતના વિવિધ રૂપો મુકાશે પ્રાંત રાજેશ આલ દ્વારા પ્રેઝન્‍ટેશન : મીનળદેવી મંદિરનો જીર્ણોધ્‍ધાર-માર્કેટ બનાવાશે

રાજકોટ તા. ૦૨ :  વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્‍ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર ૧૦ કરોડના ખર્ચે કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને અને કલેક્‍ટરશ્રી પ્રભવ જોશીની વિશેષ ઉપસ્‍થિતીમાં યોજાઈ હતી.

પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલે કરવાના થતાં વિકાસ કામો પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા રજૂ કર્યા હતા. તેમજ કોન્‍ટ્રાક્‍ટર અને આર્કિટેક્‍ટે પણ વિકાસ કામોની ડિઝાઇન અને આઈડિયાઝ પી.પી.ટી.ના માધ્‍યમથી પ્રસ્‍તુત કર્યા હતા.

અમુક વિશિષ્ટ કામો અંગેની સુચના પણ મંત્રીશ્રી બાવળિયાએ આપી હતી. તેમજ આ તમામ કામો નિયત  સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ મંત્રીશ્રીએ કોન્‍ટ્રાક્‍ટરને આપી હતી.

ઘેલા સોમનાથ મંદિરમાં લેસર લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો, મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન શો, તાાનઘર, યાત્રાળુઓ માટે રહેઠાણની વ્‍યવસ્‍થા વધારવા, યજ્ઞ શાળા- શહીદ સ્‍મારક- પાળિયાનું રીનોવેશન  કરવા, મંદિરના ઇતિહાસ માટે ડિજિટલ બોર્ડ બનાવવા , વિશ્રામ કુટિર, ચિલ્‍ડ્રન પાર્ક, ગાર્ડનમાં વિવિધ ડેકોરિટિવ સ્‍ટોનમાં શિવજીના નટરાજન  સહિતના વિવિધ રૂપો દર્શાવવા સહિતના કામો કરવાના આયોજનો રજૂ થયા હતા.

ઘેલા સોમનાથ મંદિર સામે પર્વત ઉપર આવેલ મીનળ મંદિરનો જીર્ણોધ્‍ધાર, પર્વત ઉપરના સાંકડા પગથિયા પહોળા કરી તેની પર રેલિંગ મુકવા, કમ્‍પાઉન્‍ડ વોલ, ગાર્ડન તેમજ ઘેલા સોમનાથ અને મીનળ મંદિર વચ્‍ચેના રસ્‍તા પર ફેરિયાઓ માટે માટે સુઆયોજિત માર્કેટ બનાવવા, ર્પાકિંગ સહિતના વિકાસ કામોના આયોજનો રજૂ થયા હતા.

આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર કે.એમ.ઝાલા, આયોજન અધિકારી જે.કે.બગીયા, વનવિભાગ, જેટકો, પી.જી.વી.સી.એલ. સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:29 pm IST)