Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલ આગ પ્રકરણ : ઓળીયો ઘોળિયો વેલ્ડરો ઉપર : ધુમાડાના ગોટેગોટાથી ૧ર૦૦ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઇ

સૌરાષ્ટ્ર ભાજપ પ્રેરીત ભગવાકરણનું કૌભાંડીયુ સહકારી માળખુઃ મગફળી, તુવેર, ખાતરમાં વ્યાપક કૌભાંડ : લલીત વસોયા આકરા પાણીએ

ગોંડલ : તસ્વીરમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ નજરે ડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૩ : ગોંડલના ઉમવાડા રોડ ઉપર ટેકાના ભાવે ખરીદી કરાયેલ મગફળીના જથ્થામાં મંગળવારે સાંજના લાગેલી આગ આજે પાંચમા દિવસે પણ સંપૂર્ણ કાબુમાં આવી નથી અને ફાયર ફાયટરો દ્વારા આગને સંપૂર્ણ રીતે કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વેલ્ડરોની પૂછપરછ હાથ ધરાઇ છે.

રાજય સરકાર દ્વારા આગની ઘટનાને ગંભીરતાથી લઇને સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે અને ડીઆઇજી દિપાંકર ત્રિવેદીની અધ્યક્ષતામાં તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે. આગની ઘટના મુદ્દે 'સીટ' ની રચના કરાઇ છે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે.

જો કે હજુ સુધી આગ સંપૂર્ણ કાબુમાં ન આવતા તપાસમાં અવરોધ સર્જાયો છે અને આગ પૂર્ણ રીતે કાબુમાં આવ્યા બાદ તપાસ વેગવંતી થશે.

દરમિયાન આગની ઘટના અંગે પોલીસ દ્વારા ૬ વેલ્ડરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો ઝરતા આગ ભભૂકી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ આગ બેકાબુ બની ગઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

ગોંડલના ઉમવાડા રોડ ઉપર ઓકસફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી રહી હોય સ્કૂલના ટ્રસ્ટી જગદીશ સાટોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ અમારે સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે. શાળાના બારસો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા ૮૦૦ વિદ્યાર્થીઓને પણ તેમના ગામ અને ઘર મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે, દુઃખની વાત એ છે કે આવું વિશાળ તંત્ર આજે ત્રણ-ત્રણ દિવસ થવા છતાં પણ આગને કાબુમાં કરી શકયું નથી જેનો ભોગ અમારી શાળા બનવા પામી છે. નાછૂટકે અમારી શાળાને રજા જાહેર કરવી પડે છે જે મોટી દુઃખની વાત છે.

ઉપલેટા

ઉપલેટા : સૌરાષ્ટ્રના યુવા ખેડૂત અગ્રણી અને ધોરાજી-ઉપલેટાના લોકપ્રિય ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ સ્થાનિક પત્રકારો સમક્ષ એક દિવેનમાં બોલતા જણાવેલ છે કે સૌરાષ્ટ્રના મોટાભાગની સહકારી સંસ્થાઓમાં ભાજપના આગેવાનો કે તેમના મળતીયાઓ સતા ઉપર બેઠા છે અને બધાએ ભેગા મળી તેમના આકાઓના આશિર્વાદથી સહકારી ક્ષેત્રનું ભગવાકરણ કરીને કૌભાંડયું બનાવી દીધું છે આને જોઇને આવી સંસ્થાના સ્થાપક પ્રમાણીક સાદગીવાળા ગાંધીવાદી આગેવાનો સ્વર્ગમાં નિશાના નાખતા હશે અને ગત ધારાસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મળેલી આવડી મોટી પછડાટ પછી પણ સુધરવાનું નામ નથી લેતા ઉલ્ટાનો કૌભાંડોનો સિલસીલો જારી રાખ્યો છે.

વધુમાં શ્રી લલીતભાઇ વસોયાએ જણાવેલ છે કે મગફળીમાં ભેળસેળ અને નબળી મગફળી અને તુવેરની ખરીદી કાંતો ખાતરમાં ભેળસેળ ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ભેળસેળની પોલ છતી ન થાય એટલે કરોડોની મગફળીને આગ લગાડવામાં આવેલ. મગફળીની ખરીદમાં નાના અને સીમાંત અને જરૂરીયાતવાળા ખેડૂતોની મગફળી કોઇ લ્યે નહીં અને ભાજપના સગા સબંધીઓની ખરીદી કરી તેમાં પણ મામકાવાદ ચલાવે ગત સાલ તુવેરમાં પણ આવું જ થયું. બિચારા ખેડૂતોને આપવામાં આવતા ખાતર અને દવામાં પણ અબલા ગબલી કરે આ બધામાં આખરે મરો તો ખેડૂતોને જ થાય છતાં ભાજપના આગેવાનોકે મળતીયાઓના નાતે મુખ્યમંત્રી કે કોઇ મોવડીઓ આજ દિવસ સુધી વિરોધનો એક હરફ પણ ઉચ્ચારેલ નથી જે ખુબજ દુઃખદ છે અને ખેડૂતોના હિતની વાત કરે છે એ તેમનો નર્યો દંભ છે.

અંતમાં તેમણે જણાવેલ છે કે ત્યારે સૌરાષ્ટ્રનું ભાજપ પ્રેરીત ભગવારંગી સહકારી માળખાને કૌભાંડીયું માળખુ કહીશું તો અસ્થાને નહીં ગણાય અને આવા ગંભીર કહી શકાય અને મોટા આચરવામાં આવતા ભયંકર ભ્રષ્ટાચારને હું આગામી ધારાસભામાં ઉઠાવી ખુલ્લો પાડીશ અને આ ભગવા કૌભાંડોની અસર આવનારી નગર પાલિકા અને ગ્રામ પંચાયતો સહિતની નાની મોટી ચૂંટણીઓમાં ચોક્કસ પડશે અને ર૦૧૯નું ભાજપની ઘર વાપશીનું રિહર્સલ રાજસ્થાન અને બંગાળની લોકસભા અને ધારાસભાની પેટા ચૂંટણી પછડાટમાં શરૂ થઇ ગયું છે તેવું અંતમા જણાવેલ છે.

(11:55 am IST)