Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભારતને ‘વિશ્વગુરુ' બનાવવામાં જામનગરનું આયુર્વેદિક ચિકિત્‍સા સંશોધન કેન્‍દ્ર મોટી ભૂમિકા ભજવશે : પૂ. રમેશભાઇ ઓઝા

છોટી કાશીમાં ભાગ્‍યલક્ષ્મી એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજિત પૂજ્‍ય રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ : દુષિત પર્યાવરણ પ્રભાવિત પ્રકૃતિને પુનઃ પલ્લવિત કરવા વધુ વૃક્ષો વાવવા ભાઇશ્રીનો અનુરોધ : અતિ ભલો ના બરસનો, અતિ ભલી ના ધૂપ. અતિ ભલો ના બોલનો, અતિ ભલી ના ચૂપ.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજથી શ્રી ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે શહેરના ધારાસભ્‍ય અને ગુજરાત રાજયના પૂર્વમંત્રી શ્રી ધર્મેન્‍દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)ના પરિવારના યજમાનપદે પ્રદર્શન મેદાનમાં યોજાયેલી સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) કથિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભારે ઉલ્લાસમય તેમજ ધર્મમય વાતાવરણમાં શુભારંભ થઇ ગયો છે.ᅠ

વિરાટ પોથીયાત્રાના આયોજનના કારણે બહુ મોડેથી શરૂ કરાયેલા જ્ઞાનયજ્ઞના આજના પ્રથમ દિને વ્‍યાસપીઠ પરથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું મહાત્‍મ્‍ય, પરમાત્‍માના ગુણગાન, પ્રવર્તમાન સમયના સંકટો, પરોપકાર, પર્યાવરણ, પ્રકૃતિ પ્રેમ જેવી બાબતોને શ્રીમદ્‌ ભાગવતજી સાથે જોડીને પૂજય ભાઈશ્રીએ કથામૃતપાન કરાવ્‍યું હતું.

વિતેલા બે વર્ષની વૈશ્વિક મહામારી કોરોનાની સ્‍થિતિના પગલે સર્જાયેલી માનવગત સમસ્‍યા તેમજ માનવમનની હાલતને વર્ણવી ભાઇશ્રીએ જણાવ્‍યું હતું કે બે વર્ષ પહેલાં દ્વારકાનગરીને અપાયેલી આ ભાગવત સપ્તાહ જામનગરના ફાળે આવી છે. એટલે કે ભગવાન દ્વારકાધીશ ખુદ જામનગરવાસીઓ પાસે વાંગ્‍મય સ્‍વરૂપે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનરૂપે દર્શન આપવા પધાર્યા છે.

પ્રકૃતિના બદલાયેલા આ સ્‍વરૂપ માટે માનવજીવ દ્વારા પર્યાવરણને પહોંચાડેલી હાનિને જવાબદેહી ગણી ને વિપુલમાત્રામાં વૃક્ષો વાવવા અને ઉછેરવાના કાર્યને ભગવદ્‌ કાર્ય સમજી હાથ ધરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જે-તે દરેક પ્રદેશની કુલ જમીન સામે તેના ૩૩ ટકા જંગલ હોવું જોઈએ. આવો નિયમ હોવાછતાં રાજસ્‍થાન- ગુજરાત આ ક્ષેત્રે પાછળ રહી જવા પામ્‍યા છે.

વૃક્ષોના વાવેતર તેમજ ઉછેરને બહુલક્ષી યોજના ગણાવી કથાકાર ભાઇશ્રીએ જણાવ્‍યું હતું કે, મંદિર નિર્માણ, અન્નક્ષેત્ર, સાર્વજનિક દવાખાનું કે ધર્મશાળા બનાવવાના પૂણ્‍યકાર્યો જેટલા પરોપકારી છે, આ ચારેય જન સુવિધાઓ વૃક્ષો વાવવાના એકમાત્ર કાર્યથી પૂર્ણ થઇ શકે છે. આમ ધન ખર્ચ્‍યા વિના કે ધનના અલ્‍પ વ્‍યયથી સામાન્‍યજન પણ પરમાર્થી સેવા હાથ ધરી શકે છે.

જામનગર શહેર સાથેના પોતાના સંબંધને જોડતાં તેઓએ યાદ અપાવી હતી કે, બાર વર્ષ પહેલાં માજી રાજવીના પેલેસ ગ્રાઉન્‍ડ ઉપર શ્રી કરસનભાઈ ભુતિયા પરિવારના યજમાનપદે યોજાયેલા જ્ઞાનયજ્ઞમાં તેઓ વ્‍યાસાસને હતા, ત્‍યારે ભારે વર્ષા થઈ હતી અને કથાનો પ્રારંભ મોડો થયો હતો. આ વખતે ૧૨ વર્ષ પછી ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે, ત્‍યારે ચૈત્રી દનૈયા તપ્‍યા છે અને અગ્નિવર્ષા થઈ રહી છે.

જામનગરમાં પ્રસ્‍થાપિત થનારા વૈશ્વિક પરંપરાગત ચિકિત્‍સા પદ્ધતિના સંશોધન કેન્‍દ્રના બે સપ્તાહ પહેલાં જ થયેલા શિલાન્‍યાસ પ્રસંગને પણ ગૌરવભેર વર્ણવીને પૂજય રમેશભાઈએ વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલયના સંયુક્‍ત ઉપક્રમે જામનગરના આયુર્વેદ ક્ષેત્રે બહુજ ઉમદા કાર્ય થઈ રહ્યું હોવાનો સૂર પ્રગટ કર્યો હતો. ભાગવત કથાને માનવજીવોના ‘ભવરોગ' ચિકિત્‍સા ઉપચાર દર્શાવી જુગટું- શરાબસેવન જેવા નકારાત્‍મક વ્‍યસનોને આબરૂ કે મર્દાનગી સાથે નહીં જોડવાનો અનુરોધ કરી વ્‍યસનની ગુલામીમાંથી મુક્‍ત થવાની શ્રીમદ્‌ ભાગવતના કથાવસ્‍તુના આધારે શીખ આપી હતી.

પ્રથમ દિવસે ભાગવત સપ્તાહના શુભારંભ વેળાએ ગુજરાત રાજયના પૂર્વમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ કેબિનેટમંત્રી અને વર્તમાન ધારાસભ્‍ય આર.સી.ફળદુ, સંત સર્વેશ્વર આશ્રમના મહંત શ્રી શંભુનાથ ટુંડિયાવાળા, રાજસ્‍થાનથી પધારેલા પૂજય કંકુ કેસરમાં, આણદાબાવા આશ્રમના મહંત પૂજય દેવપ્રસાદજી મહારાજ, સ્‍વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્‍વામી પૂજય ચતુર્ભુજદાસજી મહારાજ, ખોડલધામ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ, ઉમિયાધામ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળીયા, ઠાકોર સમાજના પ્રમુખ શ્રી અલ્‍પેશભાઈ ઠાકોર, ભાજપના પ્રવક્‍તા તરુણભાઈ પટેલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, નગરના મેયર બીનાબેન કોઠારી વગેરે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત- સન્‍માન કરાયું હતું, તેમજ તેઓના હસ્‍તે દીપપ્રાગટ્‍ય કરાયું હતું. ᅠજ્ઞાનયજ્ઞ દરમિયાન સત્ર સમાપ્તિ વેળાએ પોથીજીની આરતી ઉતારવામાં આવી હતી. વૈવિધ્‍યતા લાવવા માટે દરરોજ વિવિધ ક્ષેત્ર- સમાજના વર્ગને નોતરવામાં આવનાર છે. જેના પ્રથમ ચરણરૂપે આજે કોરોના મહામારીના કારણે જેમણે માતાપિતા ગુમાવ્‍યા છે, તેવા પરિવારના બાળકોના હસ્‍તે પ્રથમ દિવસની આરતી કરવામાં આવી હતી. આવા નિરાધાર બનેલા એક ડઝન જેટલા બાળકોના અભ્‍યાસની સંપૂર્ણ જવાબદારી સ્‍વીકારવાનો સંકલ્‍પ ભાગવત કથાના મનોરથી એવા હકુભા જાડેજાએ વ્‍યક્‍ત કર્યો હતો.

(12:09 pm IST)