Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોરોનાને લઇને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો રદ્દ : કલેકટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય

સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશે : સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં

જૂનાગઢ તા. ૨ : દર વર્ષે જૂનાગઢ ભવનાથમાં પાંચ દિવસનો મહાશિવરાત્રીનો મેળો ભરાય છે. ભજન, ભોજન અને ભકિતના આ મેળામાં  લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં ભકિતનું ભાથુ બાંધવા આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લઇને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીનાની અધ્યક્ષતામાં મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લઇ તા.૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશે. સાધુ-સંતો દ્વારા યોજાનાર પરંપરામાં લોકોને પ્રવેશ અપાશે નહીં.

જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી જૂનાગઢ ખાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નહિં યોજવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિ સંદર્ભે હવે શિવરાત્રી આવવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આથી ભવનાથમાં શિવરાત્રીનો મેળો થશે કે નહી તે અંગે નિર્ણય લઇ મેળો રદ કરાયો છે.

જિલ્લા કલેકટરશ્રીએ શિવરાત્રી મેળાની પરંપરા જળવાય તે મુજબ ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રીની રાત્રે રવેડી પણ નિકળશે અને શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જાળવવામાં આવશે. મેળામાં લોકોને પ્રવેશ અપાશે નહીં. બેઠકમાં કમિશ્નર તુષાર સુમેરા, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 pm IST)