Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

માળીયાના 14 ગામોના ખેડૂતોના આંદોલનને પાંચમો દિવસ : છેક સુધી લડી લેવા નીર્ધાર: આંદોલનને ઉગ્ર બનાવવા ચીમકી

10 ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા અને બીજા 15 થી વધુ ખેડૂતો સમર્થનમાં : સિંચાઇના પાણી માટે નારા તેમજ બેનરો સાથે માળીયાના ઘાટીલા ગામેથી મહારેલી કાઢી હતી : ખેડૂત આંદોલનને પગલે અગાઉ ખીરઈ પંપથી 49 કિમી છેટુ રહેલું પાણી હવે માત્ર 19 કિમી જ છેટું

મોરબી : માળીયાના 14 ગામોના ખેડૂતોએ થોડા દિવસો અગાઉ મહારેલી કાઢી માળીયા કેનાલ ખાતે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. ત્યારે માળીયા નજીક નર્મદા કેનાલ ખાતે આજે ખેડૂત આંદોલનને આજે પાંચમા દિવસ ખેડૂતોએ પોતાનો હક્ક માટે છેક સુધી લડી લેવાનો નીર્ધાર કરી કાલથી ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. જો કે ખેડૂત આંદોલનને પગલે અગાઉ ખીરઈ પંપથી 49 કિમી છેટુ રહેલું પાણી હવે માત્ર 19 કિમી જ છેટું રહ્યું છે.

માળીયા નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી પિયત માટે પાણી મેળવતા માળીયા તાલુકાના 14 ગામોના ખેડૂતોએ સિંચાઇ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં આ ખેડૂતોએ અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ સિંચાઇ મુદ્દે રજુઆત કરી હતી. છતાં સરકાર કે સિંચાઇ વિભાગ પણ નર્મદા કેનાલમાંથી પાણી આપવાની કોઈ દરકાર ન કરતું હોવાથી થોડા દિવસો અગાઉ ખેડૂતોએ પાક બચાવવા પાણી આપો તેમજ અમારો કમાઉ દીકરો કપાસ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હોય તેને બચાવવા પાણી આપો તેવા નારા તેમજ બેનરો સાથે માળીયાના ઘાટીલા ગામેથી મહારેલી કાઢી કેનાલ કાંઠે ઉપવાસી છાવણી નાખી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

આજે ખેડૂત આંદોલનનો પાંચમી દિવસ છે. જેમાં 10 ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે અને બીજા 15 થી વધુ ખેડૂતો સમર્થનમાં ઉપવાસી છાવણીએ બેઠા છે. ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ પોતાના પાક બચાવવા માટે સિંચાઇના પાણી મેળવવા હવે આરપારની લડાઈ લડવા માટે કાલથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જેના માટે આજે સાંજે રણનીતિ તૈયાર કરવામાં આવશે.જ્યારે ખેડૂત આંદોલનને પગલે અગાઉ માળીયાના ખીરઈ પંપથી જે પાણી 49 કિમી છેટું હતું તે પાણી હાલ માત્ર 19 કિમી જ છેટું રહ્યું છે. અને માળીયાના કુંભરીયા સુધી પાણી પહોંચ્યું હોવાનું સ્થાનિક આગેવાનો જણાવ્યું છે. ત્યારે આવતીકાલથી ઉગ્ર આંદોલન શરૂ થઈ રહ્યું હોય આ પાણી ક્યારે ખીરઈ સુધી પહોંચે છે ? તે જોવાનું રહ્યું

(7:17 pm IST)