Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જ્ઞાન વિનાની દુનિયા અંધારપટ સમાન : સરકારે સમાજની ઉન્નતિ માટે કરેલા કાર્યો હિસાબ સ્વરૂપે પ્રજાની વચ્ચે મુકવા અતિઆવશ્યક : કૃષિમંત્રી આર. સી. ફળદુ

અમરેલી ખાતે કૃષિમંત્રીની ઉપસ્થિતિમાં પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે જ્ઞાનશક્તિ દિવસ ઉજવાયો: મંત્રીના હસ્તે ઈ-ટેબલેટ, શોધ યોજના તથા MYSY યોજનાના પ્રતીકાત્મક લાભાર્થી-વિદ્યાર્થીઓને સહાય અર્પણ કરાઈ

અમરેલી તા. ૧, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે કેબિનેટ કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની મોંઘીબા કોલેજ ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કેબિનેટ મંત્રી શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પાંચ વર્ષના કાળખંડમાં રાજ્યની વિકાસ યાત્રા તમામ ક્ષેત્રે આગળ વધી છે. આ પાંચ વર્ષ દરમિયાન સરકારે જે કાર્યો કર્યા છે અને જે ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે, વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસગાથાની ચર્ચા રાજ્યના દરેક જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ સતત ૯ દિવસ સુધી સમાજજીવનની વચ્ચે હિસાબના સ્વરૂપે શાસક પક્ષે મુકવાનું આયોજન છે. સરકારે સમાજની ઉન્નતિ માટે કરેલા કાર્યો સમયાંતરે પ્રજાજીવનની વચ્ચે મુકવા અત્યંત આવશ્યક છે. જનતાને આ કાર્યોનું મૂલ્યાંકન કરવા માટેનો આ એક પારદર્શક અભિગમ છે. 

વધુમાં ત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના શાસનની ધુરા સંભાળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની આગવી સુઝબુઝથી શિક્ષણક્ષેત્રે ઘણા ફેરફારો કર્યા હતા. નરેન્દ્રભાઈ એવું માનતા કે શિક્ષણ એ માનવીની પાયાની જરૂરિયાત છે. જે સમાજને આગળ લઇ જવો છે તે સમાજનો પાયો મજબૂત કરવો ખુબ જરૂરી છે. મંત્રીશ્રીએ જ્ઞાનની અગત્યતા વિષે વાત કરતા જણાવ્યું હતું કે જ્ઞાન વિનાની દુનિયા અંધારપટ સમાન છે. જે વ્યક્તિએ અક્ષરજ્ઞાન પણ પ્રાપ્ત નથી કર્યું એ કોઈના ઉપર સદાય નિર્ધારિત રહે છે. પરંતુ જે વ્યક્તિ ભણેલો ગણેલો છે એ એની દિશા જાતે નક્કી કરી શકે છે.

પુર્વમંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડએ જણાવ્યું હતું કે આજની આ ૨૧મી સદીએ જ્ઞાનની સદી છે. આજના સમાજમાં જ્ઞાની વ્યક્તિ હંમેશા પ્રગતિ કરી શકશે અને પોતાનો રસ્તો જાતે જ કરી શકશે. આમ લોકોને જ્ઞાન આપવાનું કામ કરતા શિક્ષકોને આપણા ભવિષ્ય ઘડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશને કઈ દિશામાં લઇ જવો એ શિક્ષકના હાથમાં છે. આપણા ભારતની દેશની આવનારી પેઢી ખુબ જ આગળ વધે એ દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. 

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર હંમેશા વિદ્યાર્થીઓને પડખે ઉભી રહી છે. આધુનિક યુગની સાથે કદમ મિલાવવા માટે ટેબલેટનું વિતરણ હોય કે પછી શાળાએ જવા આવવા માટે સાયકલ, તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

આ તકે મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે ૫ વિદ્યાર્થીઓને ટેબલેટ, શોધ યોજનાના ૯ લાભાર્થીઓને ૧.૩૫ લાખની સહાય તેમજ MYSY અંતર્ગત ૧૦ લાભાર્થીઓને ૪.૨૧ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, શ્રી રાજેશભાઈ સાવલિયા, શ્રી મયુરભાઈ માંજરીયા, સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઇ ધાનાણી, અગ્રણી શ્રી ચતુરભાઈ ખુંટ, સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

(5:53 pm IST)