Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગ્રામીણ ક્ષેત્રે પાકા રસ્તા, જળસંચય અને સમૃદ્ધ કૃષિ વડે ખેડૂતની આવક બમણી કરવાની સરકારની નેમ છે : રાઘવજીભાઈ પટેલ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રૂ.6.60 કરોડના ખર્ચે ખારવા થી હમાપર-જાલિયા દેવાણી રોડ ડબલ ટ્રેકનો બનશે, કૃષિમંત્રી દ્વારા ખાતમુહૂર્ત

ધ્રોલ તા.૧ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના ખારવા-હમાપર-જાળીયા દેવાણી રોડના 12.96 કિલોમીટર લાંબા રોડના વાઇડનિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ રોડની વાઈડનીંગની કામગીરી કરવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ.6.60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રોડના કામમાં રસ્તાની પહોળાઈ સાથે જંગલ કટીંગ, મેટલ કામ, ડામર કામ, નાલા પુલિયા રિપેર તથા નવા બનાવવા, સાઈડ શોલ્ડરમાં માટી કામ, પ્રોટેકટીવ હોલ તથા રોડ ફર્નિશિંગ સહિતના કામોને પણ આવરી લેવામાં આવશે.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગ્રામ્ય રસ્તાને નજીકના મુખ્ય મથક સાથે જોડવાનો સરકારનો દ્રષ્ટિકોણ રહ્યો છે. પાકા રસ્તા, સમૃદ્ધ કૃષિ અને જળસંચય એ સરકારની નેમ છે. ગ્રામીણ વિસ્તારના તમામ પ્રકારના પ્રશ્નોને સમજી રાજ્ય સરકાર તેના ત્વરિત નિરાકરણ માટે હર હંમેશ તત્પર છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જણસના ટેકાના ભાવની પડતર કિંમતમાં 50% નો વધારો કરી તેમજ ખાતર પર સબસીડી જાહેર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં વિશેષ પહેલ કરી છે. પુર, હોનારત, અતિવૃષ્ટિ જેવા સંજોગોમાં પણ સરકારે હર હંમેશ ખેડૂતોની પડખે ઊભા રહી ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી ઉગાડવાનું ઉમદા કામ કર્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડી.ડી.જીવાણી, લગ્ધીરસિંહ, નવલભાઇ મૂંગરા, પોલુભા જાડેજા, મનસુખભાઈ ચમાડીયા, પ્રદીપસિંહ જાડેજા, ભીમજીભાઈ મકવાણા, જયંતીભાઈ કગથરા, રસિકભાઈ ભંડેરી, દેવકરણભાઈ ભાલોડિયા, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, કાર્યપાલક ઈજનેર શ્રી છૈયા સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર અહેવાલ :  સંજય ડાંગર - ધ્રોલ)

(8:22 pm IST)