વાણીયાવાડીમાં બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલરૂમની અનન્ય સેવા
રાજકોટઃ ઓમ સાંઈનાથ જીવદયા સંસ્થાનના જીવદયા પ્રેમી મિત્રોએ ૪/૮, વાણિયવાડી ખાતે પતંગની દોરીથી ઘાયલ પંખીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે હેતુથી એક 'બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલરૂમ' આખો દિવસ કાર્યરત રાખ્યો હતો. જેમાં વાણીવાડી તેમજ આજુબાજુના વિસ્તારોના જીવદયાપ્રેમીઓને ઘાયલ થયેલા પંખીઓને યોગ્ય સારવાર અપાવી હતી. કુલ ૯ પક્ષીઓ માંથી ૬ પક્ષીઓનો જીવ બચાવી લેવામાં આવેલ. ડો.વિશાલ પ્રજાપતી, ડો.ચીરાગ પટેલએ આ કેમ્પમાં સેવા આપી હતી. અહીંના 'બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલ રૂમ' મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, વિધાનસભા ૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે.ગઢવીના હસ્તે ખૂલ્લો મૂકાયેલ હતો. આ બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલ રૂમની ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરીયા, એનીમલ હેલ્પલાઈનના ફાઉન્ડર મીતલભાઈ ખેતાણી, 'દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમના સંસ્થાપક મુકેશભાઈ દોશી, ટ્રસ્ટી નલીનભાઈ તન્ના, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ તથા ડો.હાર્દિક દોશી તેમજ પ્રખર ધારાશાસ્ત્રી જનકભાઈ પંડ્યા સહિતનાઓએ મુલાકાત લીધી હતી.