કોઠારીયા રોડ નંદા હોલ પાસે વાડીમાં મૃત નવજાત બાળક ત્યજી દેવાયું
લોકોના ટોળે ટોળાઃ ભકિતનગર પોલીસે તપાસ આરંભી
રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ પર નંદા હોલ નજીક છગનબાપાની વાડીના શેઢે ઓછાડ-ગોદડામાં કોઇ નવજાત મૃત બાળકને વિંટાળીને ફેંકી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટીને જાણ થતાં તેણે તપાસ કરી પોલીસને વાકેફ કરતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા તથા રાઇટર મયુરભાઇ ઠાકરે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. વાડીનો મજૂર ગેલાભાઇ શેઢા પાસે ગાયોને તગડવા ગયો ત્યારે શેઢે ઓછાડ-ગોદડીનું પોટલા જેવું પડ્યું હોઇ તેણે તપાસ કરતાં અંદરથી મૃત બાળક મળ્યું હતું. બાળકનો જન્મ મળ્યું એના ચારેક કલાક પહેલા થયાનું અનુમાન ઇએમટી તબિબે વ્યકત કર્યો હોઇ કોઇ વહેલી સવારે મૃત બાળક ફેંકી ગયાની શકયતા છે. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં ઘટના સ્થળે લોકો, પોલીસ અને ત્યજી દેવાયેલુ બાળક જોઇ શકાય છે.