નેપાળી ચોકીદારની પત્નિએ એપાર્ટમેન્ટની છત પર જઇ સીડીમાં લટકી આપઘાત કર્યો
એસ્ટ્રોન ચોક સરદારનગરના રામધામ એપાર્ટમેન્ટમાં બનાવ :પતિ રૂમમાં હતો ત્યારે બનાવઃ રહેવાસી વોકીંગ માટે જતાં બનાવની ખબર પડીઃ કારણ અકળ
રાજકો તા. ૩૦: એસ્ટ્રોન ચોકમાં કણસાગરા હોસ્પિટલ પાછળ શ્રીરામધામ એપાર્ટમેન્ટમાં ચોકીદારની રૂમમાં રહેતાં નેપાળી યુવાન પુરન પરીયારની પત્નિ સવિતાબેન (ઉ.વ.૨૨)એ ગત રાતે એપાર્ટમેન્ટની અગાસીએ જઇ લોખંડની સીડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
રાતે સાડા અગિયારેક વાગ્યે એપાર્ટમેન્ટના એક રહેવાસી અગાસીએ વોક કરવા જતાં તેણે ચોકીદારની પત્નિને લટકતી નિહાળતાં ૧૦૮ને જાણ કરી હતી. ઇએમટી તબિબ નિલેષભાઇ ગોહેલે તેણીને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એમ. જે. રાઠોડે જાણ કરતાં એ-ડિવીઝન પીએસઆઇ જે. ડી. વસાવા, લાભુભાઇ અને દેવાંગભાઇએ પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાન નથી. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પોલીસે શક્યતા જણાવી હતી.