જંગલેશ્વરમાં મેગા ડીમોલીશનની તૈયારી : ૫૦૦ મકાનોનું ડીમાર્કેશન
૧૫ મીટર ટી.પી. રોડ પર ખડકાયેલ ગેરકાયદે બાંધકામોનો સર્વે : સોરઠિયા વાડી સર્કલથી ૮૦ ફુટ રોડ બ્રીજ - રિવર ફ્રન્ટમાં દબાણો દુર કરવા પોલીસ બંદોબસ્ત સાથે સર્વે
રાજકોટ તા. ૨૯ : શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મેગા ડિમોલીશનની તૈયારી મનપાએ શરૂ કરી છે.
અહીં ૧૫ મીટર ટીપી રોડ તથા આજી રિવર ફ્રન્ટ માટેનું રોડ પર ખડકાયેલા અંદાજે ૫૦૦ જેટલા મકાનોની કપાતનું ડીમાર્કેશન (સર્વે) પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું.
આ અંગે મનપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના સોરઠીયા વાડી સર્કલથી આગળ બ્રીજ પહેલાના ચોકથી દેવપરા ૮૦ ફુટ રોડ સુધીના વિસ્તારમાં ૧૫ મીટરનો ટી.પી. રોડ ખુલ્લો કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વિજીલન્સના બંદોબસ્ત સાથે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ જેટલા મકાનોનું ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ૧૦૦ મીટર જેટલી જ ખુલ્લી જગ્યા હોવાનું તંત્રવાહકોએ જણાવ્યું હતું.
વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ડિમોલેશન કર્યા બાદ ૧૫ મીટરની ટીપી રોડ ખુલશે તેમજ આજી રિવર ફ્રન્ટની કામગીરીને પણ વેગ મળશે.