મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ : ૧૦૮ સુવર્ણચંદ્રક અને ૩૬ હજાર છાત્રોને ડીગ્રી એનાયત થશે
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ૧૦૪ છાત્રો, ડીન અને સીન્ડીકેટ સભ્યો સહિત ૧૫૦ની ઉપસ્થિતિઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ખાસ હાજરી : બે ભવનના નવા બિલ્ડીંગનું લોકાર્પણ
રાજકોટ તા. ૨૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨૦૨૧-૨૦૨૨નું શૈક્ષણિક વર્ષનો પદવીદાન સમારોહ તા. ૧ ફેબ્રુઆરી શહેરના રૈયા રોડ ઉપર આવેલ શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૧૫૦ સંખ્યાની મર્યાદામાં યોજવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ જણાવ્યું છે કે, તા. ૧ ફેબ્રુઆરીએ સવારે ૧૧.૩૦ કલાકે રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે પદવીદાન સમારોહ યોજાયા છે. કોરોનાની SOP મુજબ સમારોહમાં માત્ર ૧૫૦ વ્યકિતઓ જ ઉપસ્થિત રહેશે. જેમાં ૧૦૪ સુવર્ણચંદ્રક વિજેતા છાત્રો, તમામ વિદ્યાશાખાના ડીનશ્રી, સીન્ડીકેટ સભ્યો, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી ઓનલાઇન ઉપસ્થિત રહીને સંબોધન કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહની સાથે ગર્લ્સ હોસ્ટેલ તેમજ નેનો સાયન્સ ભવનના નવા બિલ્ડીંગનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે.