નવાગઢ પાસે અકસ્માતમાં ઘવાયેલા શ્યામપાર્કના બ્રિજેશ માવાણીનું મોત
છ મહિના પહેલા બાઇક સ્લીપ થતા યુવાનને ઇજા થઇ હતીઃ એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
રાજકોટ તા. ર૯ :.. નવાગઢ પાસે બાઇક સ્લીમ થતા અકસ્માત સર્જાતા રાજકોટના યુવાનને માથાના ભાગે ઇજા થઇ હતી. તેનું સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શહેરના કાલાવડ રોડ પર પુષ્કરધામ સોસાયટી સામે શ્યામ પાર્ક-૧ માં રહેતાં બ્રિજેશ ધીરૂભાઇ માવાણી (ઉ.વ.૩૦) ગત તા. પ-૭-ર૦ર૧ ના રોજ પોતાનું બાઇક લઇને જેતપુર તરફ જતો હતો. ત્યારે નવાગઢ પાસે બાઇક સ્લીપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે પ્રથમ રાજકોટની દોશી હોસ્પિટલ બાદ ત્યાંથી વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં યુવકને બ્રેઇન હેમેરેજ હોવાનું નિદાન થયું હતું. આથી તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાદમાં રજા આપી હતી. એ પછીથી યુવક ઘરે બેડરેસ્ટ જ હોય ગઇકાલે ઘરે હતો ત્યારે એકાએક શ્વાસ થંભી જતાં મોત નિપજયું હતું.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા જમાદાર સાજીદભાઇ ખેરાણીએ સીવીલ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બ્રિજેશ એકનો એક પુત્ર હતો તેના પિતા ધીરૂભાઇની સાથે મોરબી રોડ ફાટક પાસે આવેલી એગ્રોની દુકાને બેસતો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.