આજી નદીમાં મચ્છરોના ઘર સમાન ગાંડી વેલ દુર કરોઃ ગાયત્રીબા
રિવરફ્રન્ટના સ્વય પછી બતાવજો પહેલા નદીને શુધ્ધ કરોઃ પુર્વ વિપક્ષી નેતાએ તંત્રને ઢંઢોળ્યું
રાજકોટ, તા., ૧૯: શહેરની લોકમાતા આજી નદીનાં મચ્છરોનાં ઘર સમાન ગાંધીવેલને દુર કરવા પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશ્નરને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે.
આ અંગે પત્રમાં જણાવ્યું છે કે, શહેરનાં મધ્યમાંથી પસાર થતી આજી નદી શુધ્ધિકરણ, આજી રિવરફ્રન્ટની અનેક વાતો વચ્ચે માત્ર કાગળ ઉપરનાં પ્રોેજેકટો બનાવી જુદી-જુદી કન્સલ્ટન કંપનીઓને આજી શુધ્ધિકરણના નામે પ્રોજેકટ પેટે લાખો રૂપીયા ચુકવાયા છતાં આજે પણ આજી નદી ગટરના ગંધાતા પાણી અને ઠેર-ઠેર આ ગંદા પાણી રોકાવાના કારણે ગાંડી વેલ ઉગી નીકળી છે. જેનાથી નદીની આસપાસ વસવાટ કરતા લાખો લોકો સાંજના સમયે મચ્છરનો ત્રાસ ભોગવી રહયા છે અને આ બધા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો પણ ખુબ જ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારનાં સ્થાનીક લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ નક્કર પગલાઓ લેવામાં આવ્યા નથી. ત્યારે વ્યાપક જનહિતના આરોગ્યને ધ્યાનમાં લઇ આજી નદીનાં રોકાતા પાણી તેમજ ગાંડી વેલનો ઉપદ્રવ દુર કરવા અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.