એપ્રિલમાં આજીમાં નર્મદા મૈયાનું ફરી અવતરણ થાય તે જરૂરી
આજીડેમનું માર્ચ સુધીમાં તળીયુ દેખાઇ જશેઃ ઉનાળામાં પાણીની જરૂરીયાત વધશેઃ જો આજીમાં નર્મદા નીર ન ઠલવાય તો કેનાલ મારફત દરરોજ ૧૪૦ એમએલડી નર્મદા નીર ખરીદવા પડશેઃ વોટર વર્કસ વિભાગ સરકારને પત્ર પાઠવવાની તૈયારીમાં
રાજકોટ તા. ૧૯ :.. શહેરની જીવાદોરી સમાન આજી-૧ ડેમનું તળીયુ આગામી એપ્રીલ મહીનામાં દેખાઇ જશે ત્યારે આજી ડેમમાં ફરી એક વખત નર્મદા નીર અવતરણ કરવાની જરૂરીયાત ઉભી થશે.
આ અંગે કોર્પોરેશનનાં ઇજનેરી સુત્રોનાં જણાવ્યા મુજબ આજી-૧ ડેમમાં હાલમાં ૪૯ર એમ. સી. એફ. ટી. જળ જથ્થો છે. અને તેમાંથી દરરોજ ૪ એમ. સી. એફ.ટી.પાણી ઉપાડી વિતરણ થાય છે. એ હીસાબે આજી ડેમમાંથી હવે ૯૦ દિવસ સુધી પાણી ઉપાડી શકાશે.
આમ ૩૧ માર્ચ સુધીમાં આજી ડેમનું તળીયુ દેખાઇ જશે. આ સંજોગોમાં દૈનિક પાણી સંજોગોમાં દૈનિક પાણી વિતરણ માટે સૌની યોજનાની જમ્બો પાઇપ લાઇન મારફત આજી ડેમમાં નર્મદા નીર ઠાલવીને ડેમ ભરી દેવાની જરૂરીયાત ઉભી થશે.
અને જો સરકાર આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાની ના પાડે તો નર્મદા કેનાલ આધારીત પાઇપ લાઇન મારફત આજી ડેમ સમ્પમાં એપ્રિલથી દરરોજ ૮૦ થી ૧ર૦ એમ. એલ. ડી. નર્મદા નીર મેળવવુ પડશે.
આ ઉપરાંત હાલમાં રૈયાધાર ખાતે ૮પ થી ૯ર એમ. એલ. ડી.નર્મદાનીર ચાલુ છે તે સહિત ઉનાળામાં દરરોજ ૧૬૦ થી ૧૮૦ એમ. એલ. ડી. પાણીની જરૂરીયાત રહેશે. માટે ઉનાળામાં નર્મદા નીર નિયમીત અને જરૂરીયાત મુજબ આપવા સરકારને પત્ર પાઠવી માંગ ઉઠાવાશે તેમ જણાવાયું છે.